Category Archives: Community Events

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો ફાધર વિનાયક સાથે મિલન કાર્યક્રમ યોજાયો – મે ૨૬, ૨૦૧૨

 

“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુ એસ એ”નો મિલન કાર્યક્રમ યોજાયો

        
તા. ૨૬ મે, ૨૦૧૨ને શનિવારે બપોર બાદ ૨:00 કલાકે ફા. વિનાયક જાદવ સાથે મળવા-હળવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સીના શ્રી. જગદીશ અને ક્લેરા ક્રિશ્ચિયનના નિવસસ્થાને ફા. વિનાયકના શુભ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” પણ અર્પણ કરાવાનો હોઈ ૫૦ ઉપરાંત ગુજરાતી કેથલિકો એકત્ર થયા હતા. ફા.ને આવતાં એકાદ કલાકનો વિલંબ થવાથી સમૂહમાં ભક્તિ ગીતો તાલ-સૂર સાથે ગાઈને, તથા “ગુલાબમાળા”ની અને “પવિત્ર મારિયાની મે મહિનાની ભક્તિ”માં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફા. વિનાયકે  આવતાંની સાથે મોડા થવા બદલ અફસોસ વ્યક્ત કરીને સ્વજનોને ઉમળકાથી મળવાના ભાવ સાથે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ વિધિની ૫0 મિનિટના સમયમાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. ફા. વિનાયક પોતાનો પી. એચ. ડી.નો અભ્યાસ પૂર્ણ કરવા છ મહિના માટે અમેરિકા આવ્યા છે. ફક્ત ટ્રાઈસ્ટેટ્ના ગુજરાતી કેથલિક પરિવારોને મળવાના હેતુસર આજનો આ કાર્યક્રમ યોજવાની જવાબદારી શ્રી જગદીશ ક્રિશ્ચિયને નિભાવી હતી.      
      
આવનાર રવિવાર “પેન્તેકોસ પર્વ” હોઈ આરંભમાં “આવો,આવો, પરમા પવિત્ર હે આતમ” ગીતથી સભાખંડમાં પવિત્રતાનો માહોલ સર્જાયો હતો. બાઈબલવાચન ઉપર ફા. વિનાયકે “પવિત્રઆત્મા”ના ગૂઢાર્થને સરળ ભાષા અને રોજિંદા વપરાશની ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા સમજાવીને સૌને ખુશ કરી દીધાં હતાં. દરેકના અંતરમાં જાગતી પ્રેરણા, એ જ પવિત્ર આત્માની અનુભૂતિ હોઈ, સારી અને ખરાબ ઈચ્છા સમજવાની વ્યક્તિની જવાબદારી જાણી લેવી જોઈએ. રેડ-ગ્રીન ટ્રાફિટ સિન્ગલો, ઈન્ટરનેટ સીસ્ટમ, વગેરે જેવી આધૂનિક સુવિધાઓ સાથે સરખામણી કરીને ”પવિત્ર આત્મા”ની દોરવણીની પ્રક્રિયા સહજતાથી સમજાવી હતી. સમૂહમાં સૂર-તાલસહિત ભક્તિગીતો ગવાતાં, સમગ્ર ધમંવિધિમાં પુરોહિત તરીકે ફા. વિનાયક અને હાજર શ્રધ્ધાળુઓ સાથે એક ઘરેલુ ભાવનાત્મક સંબંધ બંધાયો હતો.
        
“ખ્રિસ્તયજ્ઞ” બાદ સેવ-ઉસળ-બુંદી-જલેબી અને ઠંડાં પીણાંની મજા માણતાં હાજર સૌ પરિવારો સાથે ફા. વિનાયકે આત્મિયતાથી મળીને સૌને સામાજિક વ્યવહારની ગુજરાતની પ્રણાલિકાનો અનુભવ કરાવ્યો હતો. સૌની સાથે મળવા-હળવા સાથે ગુજરાતી ધર્મસભા, ગુજરાતી ધર્મજનો, કેથલિક કોમ્યુનિટીની ગતિવિધિ, વગેરે ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. ક્લેરા અને ઈલા ક્રિશ્ચિયન તથા માનસી મેકવાને સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી.
       
દર વર્ષે “પવિત્ર અઠવાડિયા” દરમિયાન “આત્મિક ચિંતન”ની સભાઓ માટે અમેરિકામાં એક ગુજરાતી ફાધરની જરુરીયાત હોવાની સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાએ “પાવન હૃદય દૂત”ની શતાબ્દિ ઉજવી હતી, તે બદલ “દૂત”ના ‘માનદ તંત્રી’ તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિલનના માહોલમાં સાંજના ૭:૩0 કલાકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર                               
 
/
ફાધર વિનાયકનો હ્રદયસ્પર્શી બોધ સાંભળવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.
વીડિયો રેકોર્ડિંગ – સિડની ક્રિશ્ચિયન *  એડિટીંગ – રાજ મેકવાન  

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા – ફાધર વિલિયમ

 

પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રા

 
તાજેતરમાં ૧૭ મેથી ૨૮ મે દરમ્યાન ૩૮ ખ્રિસ્તી ભાઈબેનોના એક બહુ ધાર્મિક ભાવનાવાળા જૂથ સાથે પ્રભુ ઈસુનો દેશ પુણ્યભૂમિ ઈઝરાયેલની યાત્રાએ જવાનું મને તથા મારા બીજા ત્રણ સાથી ફાધરોને સૌભાગ્ય સાંપડ્યું હતું જે વિસ્મરણીય બની રહેશે. ઈસુના જન્મ તથા તેમના ઉપદેશ સાથે સંકળાયેલ લગભગ બધાં જ પવિત્રત્તમ સ્થળોએ જઈ દર્શન કરવાનો મોકો મળ્યો ને ધન્યતા અનુભવી. પ્રત્યેક સ્થળે પહોંચતાં તેની ટૂંકમાં ઓળખાણ, તેનો બાઈબલમાં સંદર્ભ તથા બાઈબલ વાચન-મનન સહિત અર્થવાહી પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતો આધ્યામિક અખૂટ આનંદ અમારી સમૂહ યાત્રાની આગવી ખાસિયત હતી. જૂના કરારમાં ઉલ્લેખાયેલ સીનાઈ પર્વત, બળતું ઝાંખરું, પ્રભુ યાહવેએ મોશેને દસ આજ્ઞા આપી તે જગા, ઈજિપ્તમાંથી પુણ્યભૂમીમાં આવતાં રાતા સમુદ્રના જે બે ભાગ ઈશ્વરે કર્યા તે સ્થળ પણ અમે જોયાં. એમ અમારી આખીયે યાત્રા બાઈબલમય પણ બની રહી ને અંતરે બાઈબલ વાચન માટેનો ઉત્સાહ પુઃન પ્રગટ્યો એ વધ્યો. સમગ્ર વિશ્વમાંથી ખ્રિસ્તીઓ વિશાળ સંખ્યામાં અહીં યાત્રાએ આવે છે તેમને જોઈને ઈસુના આવા વિશાળ અનુયાયી પરિવારને મળ્યાનો તથા એના સભ્ય હોવાની સભાનતા માણ્યાનો અનહદ આનંદ અનુભવ્યો. અમારા સહુની એક લાગણી ને પ્રતિભાવ આ હતો ‘આ પુણ્ય મારાં ક્યાંથી?’
 
ગુજરાતમાંથી હવે નિયમિત રીતે વિવિધ સ્થળોએથી ખ્રિસ્તીઓ ઈઝરાયેલની યાત્રાએ જવા લાગ્યા છે જે આનંદની ઘટના ગણાય. યાત્રાએ જઈ આવ્યા બાદ મને લાગે છે કે ખ્રિસ્તીઓએ, બીજા કેટલાક સામાજિક ખર્ચા, વસ્ત્ર પરિધાન, શૃંગાર, મોંઘા ઘરેણાં અને મનોરંજન પાછળ વપરાતાં નાણાં તથા વ્યસનોમાં થતો નાણાંનો દૂર્વ્યય અટકાવી આ પુણ્યદાયી પ્રવાસ માટે આર્થિક જોગવાઈ કરી યાત્રાએ જઈ આવવું જોઈએ કારણ ઈસુની જન્મભૂમિમાં મુલાકાતે જવું એ એક લહાવો છે જેનો ક્યારેય પસ્તાવો નહિ થાય. આણંદ પાસે લાંભવેલ ગામમાં રહેતાં કોકિલાબેન પરમાર આવા પ્રવાસનું અલબત યાત્રાનું સુંદર આયોજન કરે છે જેનો સુખદ અનુભવ મેં જાતે કર્યો છે. પ્રસ્તુત યાત્રા કરવા ઈચ્છતા સહુને તેમનો સંપર્ક કરવા ભલામણ કરું છું. તેમનો સંપર્ક કરો – મો: ૯૪૨૯૬૬૩૩૫૪
– ફાધર વિલિયમ   

 

Pictures – Arpita Macwan – Israel

 

Well known attorney Mr. Kiritbhai J. Macwan visiting London with his wife Jayaben.

 

Well known attorney and former President of Gujarati Catholic Samaj Mr. Kiritbhai J. Macwan with wife Jayaben, is visiting his son Clifford in U K (London) on Summer Vacation.

 

His son Clifford is working as manager with Sainsbury’s, a British Multinational company having chain of retail out-lets in European countries. Kiritbhai will be in London from 26th May to 1st July, 2012. He would be meeting Gujarati brethren during his stay in UK.

ફાધર એલેક્ષના વરદ હસ્તે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ ફાધરનો હ્રદયસ્પર્શી વિદાય સમારંભ મે ૧૯, ૨૦૧૨

 

હૃદયસ્પર્શી વિદાય સમારંભ!

     
“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ના ઉપક્રમે ‘ગુજરાતી માસ’ સાથે વિદાય સમારંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૯ મે, ૨૦૧૨ને શનિવારે બપોરના ૨:૩૦થી ફા. ડૉ. એલેક્ષ જોસેફના શુભહસ્તે ‘પવિત્ર ખ્રિસ્તયજ્ઞ’ની ધાર્મિક વિધિમાં સંસ્થાના સભ્યો અને પરિવરજનોએ ભક્તિભાવે ભાગ લીધો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સી ખાતે આવેલા ભવ્ય ”અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ ચર્ચ”માં ગુજરાતી ભક્તિગીતો તાલ-સૂરે સમૂહમાં ગાવામાં સૌએ સાથ આપ્યો હતો. હાર્મોનિયમ પર શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને ઢોલક પર સર્વશ્રી રજની અને અમિત મેકવાન સાથે કલ્પેશ ક્રિશ્ચિયને સંગત આપી હતી. પરસ્પર પ્રેમ અંગેના બાઈબલ વાંચન પર ફા. એલેક્ષે પ્રભુ ઈસુના પ્રેમનો સંદેશો પોતાના જીવન વ્યવહાર દ્વારા વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.
     
૩:૩૦ કલાકે ધાર્મિક વિધિ પૂરી થતાં ચર્ચની બાજુમાં જ આવેલા હોલમાં ફા.  ડૉ. એલેક્ષનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્રથમ હળવા નાસ્તા સાથે સામાજિકતાના માહોલમાં હળવા-મળવાના સમય બાદ ઉદઘોષક તરીકે શ્રી.  કેતન ક્રિશ્ચિયને સૌને આવકારતાં ફા. એલેક્ષને વિદાય આપવાનો આજની સભાનો હેતુ જણાવતાં હતા ત્યારે હળવા અવાજમાં “આજ જાનેકી જીદ ન કરો” ગીત-ગૂંજનથી સાંકેતિક વિદાયની સૌને દુ:ખ મિશ્રીત પ્રતિતિ થઈ હતી.
     
સંસ્થાના સ્થાપક અને વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારને મંચ પર બેઠક લેવા વિનંતી કરી હતી. કુ. શર્લિન પરમારના હસ્તે શ્રી. જોસેફ પરમારને પુષ્પગુચ્છ અર્પીને સન્માન કરવાના જવાબમાં તેમણે સંસ્થાની સ્થાપનાનો હેતુ, સંસ્થાની કાયદેસરતા અને બંધારણ અંગે માહિતી આપી હતી. બે વર્ષમાં આદર્શ પ્રણાલિકા, નાણાંકીય હિસાબની પારદર્શિતા, સભ્યોનો આર્થિક સહયોગ અને યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને સૌનો આભાર માન્યો હતો. લોકશાહી નિયમ અનુસાર થયેલી  સંસ્થાની સૌપ્રથમ ચૂંટણીમાં ૯ કારોબારી સભ્યો માટે ૮ ઉમેદવારો હોઈ સર્વાનુમતે ચૂંટાયેલા સભ્યો સર્વશ્રી જગદીશ ક્રિશ્રિયન, શાંતિલાલ પરમાર, જેમ્સ જખર્યા, રજની મેકવાન, દિપક પરમાર, ફિલોમિના પરમાર, અમિત મેકવાન અને એરિક લિયોને સૌએ તાળીઓથી વધાવ્યા હતા.  વધુમાં ૨૦૧૨-૧૩-૧૪ની ત્રણ વર્ષની ટર્મ માટે સર્વાનુમતે ચૂટાયેલા પ્રમુખ તરીકે શ્રી.શાંતિલાલ પરમારને મંચ ઉપર આમંત્રિત આપતાં સૌ સભાજનોએ  તાળીઓથી ખુશી વ્યક્ત કરી હતી. કુ. હર્ષિની કુમારના હસ્તે પુષ્પ્ગુચ્છથી નવા પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાને પસંદ કરવા બદલ સૌનો આભાર માન્યો હતો. વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારની સેવાની સરાહના કરતાં આભાર માન્યો હતો અને સંસ્થાની પ્રગતિ અર્થે  સૌના સહકાર માટે વિનંતી કરી હતી.     
  
ફા. ડૉ. એલેક્ષ પોતાની ડૉક્ટરેટની ઉચ્ચ પદવી મેળવીને અમેરિકામાંથી વિદાય લઈ રહ્યાની શ્રી કેતનભાઈએ રજૂઆત કરીને તેમને મંચ પર બેઠક લેવાની વિનંતી કરતાં સભાજનોએ તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી જગદીશ ક્રિશ્ચિયને ફા. એલેક્ષનો પરિચય આપતાં તેઓના જન્મ, શિક્ષણ અને દીક્ષા બાદની વિવિધ સેવાઓની વિગતો આપી હતી. તેઓના ૯-૧૦ વર્ષના અમેરિકાના વસવાટ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સાથે ન્યુયોર્કસ્થિત સેંટ પિટર ચર્ચમાં મદદનીશ પુરોહિત તરીકે લોક્પ્રિયતા મેળવી હતી.  આ સમય દરમિયાન “ગુ. કે. સ. ઑફ યુએસએ”ના કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રસંગોપાત ગુજરાતી ખ્રિસ્તયજ્ઞના લાભ આપ્યા છે. ગુજરાતી કેથલિક પરિવારોના સારા-માઠા પ્રસંગોમાં, રૂબરૂ હાજર રહીને આધ્યાત્મિક હૂંફ આપીને જાણે કે સંસ્થાના અને પરિવારોના ‘પ્રીસ્ટ’ તરીકે કામગીરી કરી હોઈ સૌના પ્રિયપાત્ર રહ્યા છે.
   
ત્યારબાદ વિદાય પ્રસંગે ગાંધીનગરના માનનીય આર્ચબિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને અમદાવાદના માનનીય બિશપ થોમસ મેકવાનના આવેલા સંદેશાઓની શ્રી કેતન ક્રિશ્ચિયને વાચન કર્યું હતું, સંસ્થા તરફથી સુંદર ‘પ્લેક’ ફા. એલેક્ષને અર્પણ કરવામાં આવતાં પહેલાં કુ. નોએલિયા રોયના હસ્તે ફાધરનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના જૂના-નવા સૌ કારોબારીની ઉપસ્થિતિમાં “પ્લેક’ અર્પણની વિધિ ભાવપૂર્ણ બની રહી હતી.
    
રેવ. ડૉ. એલેક્ષે વિદાય પ્રવચન આપતાં પોતાની જવાબદારી એક ધર્મગૂરુ તરીકે નિભાવીને પ્રભુ ઈસુનાં કાર્યો પોતા દ્વારા કરવા પ્રયત્નો કર્યાનો ઉલ્લેખ કરીને પ્રભુનો આભાર માન્યો હતો. ઉચ્ચ શિક્ષણના અભ્યાસના બોજ સાથે પેરિશની કામગીરી અને સ્થાનિક ગુજરાતી કેથલિકો સાથે સહકરાત્મક મેળાપને પોતાના જીવનનું કાયમી સંભારણું ગણાવતાં ગદગદ થઈ ગયા હતા. સભાજનો અશ્રુભીની આંખે ફાધરને સાંભળતાં અને વારંવાર તાળીઓથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા. વિદાય લેતા ફાધરને સ્રવશ્રી તુલસી માયલ, કિરીટ જખાર્યા, ફિલોમિના પરમાર, અનિતા ક્રિશ્ચિયન, અમિત મેકવાન, જુલિયસ મેકવાન,વગેરેએ પોતાના અંગત પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ઉદઘોષક શ્રી. કેતન ક્રિશ્ચિયન કાર્યક્રમના સંચાલનમાં જોગાનુજોગ ફા. એલેક્ષની વિવિધ સેવાઓની રજૂઆત કરતા રહેતા હતા.
     
અંતમાં “જોશ ચેરીટી ફાઉન્ડેશન” તરફથી “ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ને દાનમાં મળેલ ‘સોની વાયો બ્રાન્ડ’ લેપટોપ ફા. એલેક્ષને સંસ્થા તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. ફા. એલેક્ષે અહોભાવે સંસ્થાનો અને સૌનો આભાર માન્યો હતો. ત્યારે પાશ્વસંગીત “નગમે હૈ, શિકવે હૈ, રિસ્તે હૈ, બાતેં હૈ, યાદેં રહ જાતી હૈ, ચલે જાનેકે બાદ યાદ આતી હૈ” ગુંજનથી સૌની આંખોંમાં આંસુ આવી ગયાં હતાં.  
     
વ્યક્તિગત ભેટ અર્પીને ઘણાં પરિવારોએ ફા. એલેક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ધર્મ અને સમાજના સમન્વયનું એક આગવું પ્રકરણ, એટલે ફા. એલેક્ષ અને અમેરિકાના ગુજરાતી કેથલિકોનો પરસ્પરનો સહકારાત્મક યાદગાર ઈતિહાસ!     
     
પ્રસંગ અનુસાર ઈલા અને ક્લેરા ક્રિશ્ચિયન, માનસી અને પૂર્વી મેકવાન, એલેક્ષ રાઠોડ, ફ્લોરેન્સ મેકવાન, નીલા લિયો અને તુલસી અને ઝુલી માયલ તરફથી ફૂડ-સોડા-પેપર પ્રોડક્ટ્સ, વગેરે પૂરું પાડીને ઉદાર સહાય કરી હતી. ઉપરોક્ત મહિલાઓ સહિત શારદા અને ફિલોમિના પરમાર, ફિલિસ અને અનિતા ક્રિશ્ચિયન, કોકિલા કુમાર, વગેરેએ પિરસવાની વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. સૌએ હાથોહાથ સહકારથી સભાખંડની વ્યવસ્થા અને સફાઈ સંભાળી લીધી હતી. સાઉન્ડ સીસ્ટમ શ્રી રજની અને અમિત મેકવાન બંધુઓએ સંસ્થાને વિનામૂલ્યે આપી-સંભાળીને સહાય કરી હતી.  
માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
 
Click on above picture to read his message

 

Click to read his message

 

ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અને ફાધર વિનાયક જાદવ સાથે સ્નેહ-સંમેલન મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

આવો અને આપણા વતન અને માતૃભૂમિથી પધારેલા ફાધર વિનાયક જાદવના હસ્તે થનાર પવિત્ર ગુજરાતી ખ્રિસ્તયજ્ઞમાં હાજરી આપો. પોતાના પીએચડીના અભ્યાસ અર્થે આવેલા ફાધરે પોતાના વ્યસ્ત નિર્ધારિત સમયમાંથી આપણા માટે સમય ફાળવી આપણને મળવાની ઇચ્છા દર્શાવી તે આપણા પ્રત્યેનો પ્રેમ છે. તો એમના પ્રેમને બિરદાવવા આવો અને જોડાઓ, ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ સંયોજિત કાર્યક્રમમાં. દેવળની વ્યવ્સ્થા કોઈ કારણસર થઈ નથી શકી તો મારા નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

તારીખ – મે ૨૬, ૨૦૧૨ શનિવાર

 

સ્થળ – ૧૪૪ સ્ટ્રોબરી હિલ એવેન્યુ, વુડબ્રીજ, ન્યુ જર્સી ૦૭૦૯૫

 

સમય – બપોરે ૨ થી ૩ ખ્રિસ્તયજ્ઞ અને ૩ પછી  સ્નેહ-સંમેલન 

 

હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.  

 

Place : 144 Strawberry Hill Avenue, Woodbridge, NJ 07095

 

Time: 2-3PM Gujarati mass celebrated by Fr. Vinayak Jadav. 3PM onwards reception and refreshment.