ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ઓલિવ ટ્રી ડિસ્ટ્રીબ્યુશન મેથોડિસ્ટ બાઇબલ સેમિનરી, વાસદ ખાતે 27 જૂન 2026 ના રોજ યોજાયું.
જૈતુન વાડી પ્રોજેક્ટ
ગાર્ડિયન એંજલ ફાઉન્ડેશન તરફથી ઓલિવ ટ્રી ( જૈતુન વુક્ષ ) પ્લાન્ટેશન માટે પંચવર્ષીય યોજના “જૈતુન વાડી પ્રોજેક્ટ” ૨૭/૬/૨૦૨૪ના રોજ બનાવવામાં આવી હતી. જેના અંતર્ગત ગુજરાતભરના વિવિધ ચર્ચ, શાળાઓ, હોસ્પિટલો, સેમિનરીઓ અને સામાજિક સંસ્થાઓમાં ૧૪૫ ઓલિવના છોડનું વિતરણ કરવામાં આવેલ જેમાંથી 110 છોડ ખુબ જ તંદુરસ્ત રીતે ઊગી રહ્યા છે. જેના અનુસંધાને 27 જૂન 2026ના રોજ મેથોડિસ્ટ બાઇબલ સેમીનરી, વાસદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિવિધ મંડળોના પાસ્ટર સાહેબ તથા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી લોકો હાજર રહ્યા. ઓલિવ ટ્રી બાઇબલ રીતે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું હોઈ પવિત્ર વૃક્ષ તરીકે પણ ઓળખાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનોનું સ્વાગત મધુકામીનીના છોડ આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સાલ્વેશન આર્મીના મેજર જેમ્સ સાહેબે પ્રાર્થના કરીને કરીને કરી હતી. ત્યારબાદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સુનિલભાઈ મેકવાનએ ઓલિવ ટ્રી અને તેની વિશેષતાઓ વિશે સમજ આપી. ડોન બોસ્કો ફા. મયંક પરમાર (કવાંટ) જેઓએ પણ આ વૃક્ષ અને તેનું મહાત્મ્ય વિશે જાણકારી આપી, નામદાર પોપ ફ્રાન્સિસના વિશ્વવ્યાપી વૈશ્વિક સ્તરે વૃક્ષારોપણ પહેલને યાદ કરી પ્રેરણાદાયક પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમના સંચાલક ગાર્ડીયન એન્જલસ ફાઉંડેશનના કમ્યૂનિટી આઉટરિચ ડાઇરેક્ટર ફોરમબહેને આ છોડના યોગ્ય ઉછેર માટે PPT દ્વારા ઊંડાણપૂર્વકની સમજ આપી. અગાઉના વર્ષે જેઓએ ઓલિવ ટ્રી મેળવી અને તેનો ઉછેર કરેલ હતા તેઓના ફીડબેક પણ મેળવ્યા. જેમાં આત્માપૂરના જોનભાઈએ કેવી રીતે વૃક્ષની માવજત કરવી તે અંગેનો અનુભવ શેર કર્યો હતો. આ સિવાય CDS ના ફાઉન્ડર મનોજભાઈએ તેમણે કરેલ છોડના ઉછેર કેવી રીતે કરવા તે વિશે વિગતે જણાવ્યું હતું .
ઓલીવ ટ્રી (Olive Tree) અને બાઇબલમા તેના સ્વરૂપ અને મહત્વ વિશે જાણીએ તો ઓલીવનું વૃક્ષ બાઇબલમાં શાંતિ, આશીર્વાદ, વિશ્વાસ, પવિત્ર આત્માના અભિષેક અને ઈશ્વરની પ્રજા માટેનું મહત્વપૂર્ણ પ્રતીક છે.
શાંતિનું પ્રતીક – નૂહના જળપ્રલય પછી કબૂતર તેની ચાંચમાં ઓલીવનું પાન લઈને પાછું આવ્યું. તે દર્શાવતું હતું કે પાણી ઉતરી ગયું છે અને ઈશ્વરે પૃથ્વી સાથે ફરી શાંતિ સ્થાપી છે. ઉત્પત્તિ 8:11
આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતીક – વચનના દેશમાં ઓલીવના વૃક્ષો પુષ્કળ હતા. તે ઈશ્વરના આશીર્વાદ અને સમૃદ્ધિનું ચિહ્ન માનવામાં આવતું. પુનર્નિયમ 8:7–8
અભિષેકનું પ્રતીક – ઓલીવના તેલનો ઉપયોગ રાજા, યાજક અને પ્રબોધકોના અભિષેક માટે થતો હતો. આ પવિત્ર આત્માની હાજરી અને ઈશ્વરની પસંદગીનું પ્રતીક છે. નિર્ગમન 30:22–25 1 શમુએલ 16:13
વિશ્વાસી જીવનનું પ્રતીક – દાઉદ કહે છે: “હું ઈશ્વરના ઘરમાં લીલાછમ ઓલીવના વૃક્ષ જેવો છું.” ભજન 52:8 આ દર્શાવે છે કે ઈશ્વર પર ભરોસો રાખનાર વ્યક્તિ આધ્યાત્મિક રીતે ફળદાયી બને છે.
ગેથસમની – ઈસુએ પોતાની પીડા પહેલાં ગેથસમનીના બગીચામાં પ્રાર્થના કરી હતી. “ગેથસમની”નો અર્થ જ “ઓલીવ દબાવવાનું સ્થળ (Olive Press)” થાય છે. માથ્થી 26:36–46
આધ્યાત્મિક સંદેશ : ઓલીવનું વૃક્ષ આપણને શું શીખવે છે?: ઈશ્વર સાથે શાંતિમાં જીવવું, વિશ્વાસમાં અડગ રહેવું, પવિત્ર આત્માના અભિષેક હેઠળ સેવા કરવી, મુશ્કેલીઓમાં પણ ફળદાયી જીવન જીવવું અને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવો.
કાર્યક્રમ દરમિયાન રેવ. કિરીટ પરમાર સાહેબે મેથોડિસ્ટ બાઇબલ સેમિનરી, વાસદના ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તે અંગે માહિતી આપી અને એની ઊજવણીના ભાગ રૂપે ઓલિવ વૃક્ષનો પ્રોગ્રામ ત્યાં રાખવાનું આયોજન કરાયેલ એ માહિતી આપી હતી. ત્યારબાદ AFSAના ડાઇરેક્ટર રાજુભાઈ ખ્રિસ્તી સાહેબ દ્વારા ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તક “પુરુષ ની પરખ” અને “સ્ત્રી ની પરખ” પણ ઉપસ્થિત મહેમાનોને આપવામાં આવ્યા હતા. અંતે શ્રી બીપીનભાઇ પરમાર (પેટલાદ) દ્વારા આભારવિધિ અને રેવ. એસાહ મુથુ સાહેબ દ્વારા અંતિમ પ્રાર્થના કરાવવામાં આવી હતી. આ સાથે જ અંત સૌ ગરમાગરમ ભજીયા અને ચાનો નાસ્તો કરીને છુટા પડ્યા હતા
સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી સંસ્થાઓના વડાઓ, મહાનુભાવો, સામાજિક અને ધાર્મિક આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહીને આપી પ્રોત્સાહન સહીત ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન કુલ ૯૦ જેટલા જૈતુન છોડનું વિતરણ ગુજરાતની ૨૬ જેટલી જુદી જુદી સંસ્થાઓમાં કરવામાં આવ્યું.
સુંદર સંપૂર્ણ કાર્યક્રમ માટે વાસદ ચર્ચના પ્રિન્સિપાલ કિરીટસાહેબે અમેરિકા સ્થિત રેવ. વી. કે. મકવાણા અને તેમના ધર્મપત્ની શિલ્પાબેન મકવાણા તથા શ્રી. પરેશભાઈ મકવાણા માટે આભારની લાગણી પ્રગટ કરી. આ સમગ્ર કાર્યક્રમને ગાર્ડીયન એન્જલસ ફાઉંડેશનના કમ્યૂનિટી આઉટરિચ ડાઇરેક્ટર ફોરમબેને સંચાલન કરી સફળ બનાવેલ છે. જે બદલ અભિનંદન.
ગાર્ડિયન એન્જલ્સ ફાઉન્ડેશન એક સામાજિક સેવા માટે કાર્યરત NGO છે, જેનું મુખ્ય ધ્યેય પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક વિકાસ છે. આગામી ઓલિવ ટ્રી વિતરણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક સંસ્થાઓને દર વર્ષે 1 જૂન સુધી સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો :
ફોરમ ક્રિશ્ચિયન (કમ્યૂનિટી આઉટરિચ ડાઇરેક્ટર) ૯૯૯૮૩૧૩૭૭૩
રિપોર્ટ તૈયાર કરનાર: શ્રી. પ્રફુલભાઈ ક્રિશ્ચિયન, મરિયમપુરા, પેટલાદ.
BIS #8311 DB Kawant Promotes Green Mission Through Olive Tree Plantation Initiative




