All posts by admin

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા વિષય પર પરિસંવાદ – ઓગસ્ટ ૨૬, ૨૦૧૨

“આશાદીપ” – વિદ્યાનગરમાં ગાંધી વિચારધારા
 
કિશોરાવસ્થામાંથી જ પોતાના જીવનમાં સંસ્કારો અને સદગુણોનું સિંચન થાય તો વ્યક્તિનું સમગ્ર જીવન સત્ય, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા અને પરોપકારથી મઘમઘતું બની રહે છે. આ બાબતને લક્ષ્યમાં લઈને તા. ૨૬ ઓગસ્ટના રોજ “આશાદીપ” સંચાલિત ‘અંકુર’ કાર્યક્રમનાં કિશોર-કિશોરીઓ તથા આશાદીપ સંલગ્ન અન્ય યુવક-યુવતિઓ માટે ગાંધી વિચારધારા વિષયે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્યલેખક તથા કેળવણીકાર, સદભાવના ફોરમના સભ્ય અને ફાધર વિલિયમના સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ બોરીસાગરે લગભગ એક કલાક સુધી ગાંધીના જીવનમાંથી ચૂંટીને, વીણીને વિવિધ પ્રેરણાત્મક પ્રસંગોનું તેમની લાક્ષણીક શૈલીમાં વર્ણન કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. પ્રવચન બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં પૃચ્છકોએ ગાંધીજી અંગેની કેટલીક માન્યતાઓ બાબતે સ્પષ્ટતા કરી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ અંકુરીયાંઓ માટે માત્ર રસપ્રદ નહિ, બહુ જ હિતકારક નીવડ્યો હતો. અંકુરના સંયોજક મેહુલ ડાભીએ વક્તાશ્રીનો આભાર માની આશાદીપમાં પુન: પધારી યુવાવર્ગને સાત્વિક વિચારોની લહાણી કરવા અપેક્ષા રજૂ કરી હતી.
સમાચાર/પિક્ચર: “આશાદીપ”

સિસ્વા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવાની પરવાનગી મેળવતી મહિલાઓ

સસ્તા અનાજની દુકાન ચલાવવા પાછળનો સરકારનો હેતુ ગરીબોને ખાવા માટે જરૂરી અનાજ બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે તેવો છે. પરંતુ જેમ બધી સરકારી યોજનાઓમાં ભષ્ટાચાર ચાલે છે તેમ આ યોજના પણ ભ્રષ્ટાચારના ભરડાથી બાકાત નથી. અમુક લોકો પૈસા આપીને સરકાર પાસેથી આ દુકાનો ચલાવવાના પરવાના મેળવી લે છે તથા ભ્રષ્ટાચાર કરીને અઢળક નાણાં કમાઈ લે છે. અને આવા લોકો અનાજને ગરીબો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી દે છે અને સરકારના શુભ હેતુને નાકામિયાબ બનાવી દે છે.
 
સરકારના આ શુભ હેતુને અમલમાં મૂકવા એટલે કે ગરીબોને ખાવા માટે અનાજ મળી રહે એ માટે “આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર” સંચાલીત મહિલા સશક્તિ જુથે સંકલ્પ કર્યો અને બોરસદ તાલુકાના સિસ્વા ગામની બહેનોએ આ કાર્ય હાથ ધર્યું. પ્રથમ તેઓ મામલતદાર પાસે ત્યારબાદ પુરવઠા અધિકારી પાસે જઈને રજૂઆત કરી પણ કાંઈ વળ્યું નહીં. વિરોધીઓ તથા સ્થાપિત હિતોએ તેમના પ્રયત્નને નિષ્ફળ બનાવવા બધા જ ઉપાયો અજમાવ્યા. છેવટે મહિલાઓએ કલેક્ટર પાસેથી પરવાનગી મેળવી લીધી. સમગ્ર પ્રક્રિયામાં રેગીનાબેન, શારદાબેન તથા પાર્વતિબેને ઘણી જહેમત ઊઠવી હતી. બે મહિનાની લડત તથા સખત મહેનતનું છેવટે સુફળ પ્રાપ્તથયું એ સહુને આનંદ થયો છે. આ અનુભવે સહુને લાગ્યું છે કે ગરીબોનાં હિતમાં લડીએ તો ચોક્કસ તેનું પરિણામ હકારાત્મક આવે છે.
 
પ્રસ્તુત અભિયાન તથા મહિલાઓની આ લડતમાં સીસ્ટર સરોજ એલ.ડી. નુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સીસ્ટર સરોજ, કો-ઓર્ડીનેટર તરીકે “આશાદીપ” દ્વારા ચાલતી જાગૃતિ પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય છે ને એવા કાર્યક્રમો યોજતાં હોય છે.
સમાચાર-પિક્ચર:  “રિશ્તા”        

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો – ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન ઓગષ્ટ ૨૫, ૨૦૧૨

બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો

ગોઝારીઆ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ફાધર વિલિયમનું સંબોધન

 

 

‘વિશ્વગામ’ યુવાપ્રવૃત્તિનાં પ્રણેતા સંજય-તુલા દંપતિની પ્રેરણાથી તેમના સાથીઓ દ્વારા ગાંધીનગરથી વિસનગર રોડ પર આવેલ ગોઝારીઆ કોલેજની સોએક જેટલી કોલેજિયનો તથા ગામની હાયર સેકન્ડરી સ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ માટે બે દિવસની યુવાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે શિબિરમાં સર્વધર્મ સમભાવ વિષયે ચર્ચા-સંવાદ રાખાવામાં આવેલો જેમાં હિંદુ-ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મ વિશે પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર વિલિયમ વિશ્વગામ યુવાપ્રવૃત્તિઓના સબળ ટેકેદાર તથા નજદીકના સાથી તથા ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા પ્રસરે ને પ્રગટે એ હેતુસર શરૂ કરેલ ઝુંબેશ સદભાવના ફોરમની ટીમના સભ્ય છે. સંજયભાઈ તથા શિબિરના આયોજકોએ તેમને બાઈબલ અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમનો સંદેશ તથા તેના હાલના સંદર્ભો વિષયે શિબિરાર્થીઓને સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું . સંબોધન બાદ શિબિરાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ખિસ્તી ધર્મ તથા ખ્રિસ્તીઓ વિષે સાચી માહિતી મેળવીને એમના ક્ષતિયુક્ત ખ્યાલો ને માન્યતાઓ દૂર કરી હતી. ઈસુના ઉપદેશમાં અને એટલે ખિસ્તી ધર્મમાં માનવબંધુ-પ્રેમ એ તેની બુનિયાદ છે અને ઈશ્વરના ઘરે જવા કે પહોંચવાનો રસ્તો ડારેક્ટ એક્ષપ્રેસ વે નથી પરંતુ એ વાયા વાયા મારા પડોશીના ઘરે થઈને જતા લોકલ રોડ છે તે સત્ય ફાધર વિલિયમે વારંવાર પુનરૂચ્ચારણ કરીને શ્રોતાઓના મનમાં ઠસાવ્યું હતું. વળી ‘તમે મારા શિષ્યો (અનુયાયી) છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ કરતા હશો’ ભગવાન ઈસુના શબ્દો ટાંકીને ખિસ્તીઓની એક માત્ર સાચી ઓળખ વિષે સમજણ આપી હતી.
ઉપસ્થિત કોલેજના આચાર્ય, પ્રધ્યાપકો તથા અન્ય ગ્રામજનોએ આજના પ્રવચનને ઘણું ઉપયોગી ને હિતકારક ગણાવ્યું હતું અને એ વિસ્તારની અન્ય શાળાઓમાં ભણતા વિધાર્થીઓ તથા યુવાજૂથોને માટે આ પ્રવચન આપવા આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજના પ્રસંગની યાદમાં ફાધર વિલિયમને કેટલાંક સારાં પુસ્તકોની ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.   

સેન્ટ ઝેવિયર્સ, ઉમરેઠ પૂર્વ વિદ્યાર્થી (ધો. ૧૦ ૧૯૮૯) સ્નેહ-મિલન સમારંભ જુલાઈ ૧૫, ૨૦૧૨

પોતાનું વતન છોડી ૧૯૮૫ માં જ્યારે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો તો થોડા દિવસમાં અહેસાસ થયો કે કંઈ કેટલુંય પાછળ છૂટી ગયું છે. અફસોસને નેવે મૂકી નવા પડકાર અને સમસ્યાનો સ્વિકાર કરી નવું ગામ અને ઘર માંડવા કમર કસવાનું શરૂ કર્યું. દુનિયાના સૌથી સમૃધ્ધ અને શક્તિશાળી દેશની આ સમૃધ્ધીનો હિસ્સો બનવું હોય તો ખાલી પુષ્કળ પૈસા કમાવવાથી જ શક્ય નથી એની મને ખબર હતી. એટલે ભારતમાં સ્કૂલ દરમ્યાન આપણે ભણતા “મોગલોની પડતીના કારણો” તો અહીં મેં ભણવા માંડ્યું આ દેશની સમૃધ્ધીના કારણો. ખેર મૂળ મુદ્દાની વાત કરું તો આ અભ્યાસ દરમ્યાન પૂર્વ-વિદ્યાર્થી સ્નેહ મિલન (School/High School/College reunion) વિષે જાણ્યું અને એના ઉદ્દેશથી હું બહુ પ્રભાવિત થયો.
 
મારાથી પહેલી પેઢી તો સ્કૂલ કે કોલેજ પછી નોકરી કે ધંધા માટે પોતાના ગામ-શહેરમાં જ કે આસપાસના વિસ્તારમાં જ હોવાથી પોતાના સ્કૂલ-કોલેજના સહાધ્યાયીને પ્રસંગોપાત મળતા રહેતા. પણ પછી ધીરે ધીરે નોકરી કે ધંધા માટેનો વિસ્તાર વિસ્તરવા માંડ્યો અને રાજ્ય બહાર અને પરદેશની સીમા પાર કરી ગયો. સ્કૂલ/કોલેજના સહાધ્યાયીઓ કે શિક્ષકો સાથેનો સંપર્ક પણ છૂટી જાય છે. મને પણ મારા સ્કૂલ/કોલેજના સહાધ્યાયી અને શિક્ષકઓની હાલની પરિસ્થિતિ એમની પ્રગતિ જાણવાની ઈચ્છા, તાલાવેલી થઈ. તો ૧૯૯૩ માં મેં મારી હાઈસ્કૂલ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ મરિયમપુરા, પેટલાદના હેડક્લાર્ક શ્રી. રમણભાઈ સી. મેકવાનનો (જે મારા સમયે પણ એજ જગ્યાએ હતા) સંપર્ક કર્યો અને મારી ઈચ્છા વ્યક્ત કરી કે ૧૯૯૭ માં મારા એસ.એસ.સી. વર્ગને ૨૫ વરસ થતા હોવાથી એક સ્નેહ-મિલન સમારંભ રાખવો. તેમને પણ આ વિચાર ગમ્યો. મારા બે સહાધ્યાયીઓનો (ફિલીપ પરમાર અને લલિતા સામયન) મારે સંપર્ક હતો તો એમને આ વાત જણાવી તો તેઓ પણ રાજી થયા. બધા સહાધ્યાયી અને શિક્ષકગણના સરનામા કે ફોન નંબર મેળવવાની જવબદારી આ ત્રણ જણે સ્વિકારી. અમારી પાસે ચાર વરસનો સમય હતો છતાં પણ અમે સફળ ના થઈ શક્યા એનું બહુ દુઃખ થયેલું અને હજુ છે.
 
આજની તારીખમાં ફોન, સેલ ફોન, ઈમેલ કે સોસિયલ નેટવર્કથી બધા એકબીજાના સંપર્કમાં રહી શકે છે અને રોજબરોજની એકબીજાની જીંદગીથી વાકેફ રહી શકે છે. છતાં પણ એકબીજાના હાથ પકડી કે છાતી સરસા ચાંપીને મળવાનો લહાવો તો અલગ જ હોય છે. તો આ જ ભાવના ઉમરેઠ, ગુજરાતથી દૂર સ્કોચ પ્લેઈન્સ, ન્યુ જર્સીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ઉમરેઠના ૧૯૮૯ ની સાલના ધોરણ ૧૦ ના ભૂપપૂર્વ વિદ્યાર્થી શ્રી. અલય બી. પટેલને થઈ આવી. તો તેમણે સ્કૂલનો સંપર્ક કરી હાલના પ્રિન્સિપાલ ફાધર ટોનીનો સંપર્ક કર્યો. અને એમની રજામંદી મેળવી એ સમયના પોતાના સહાધ્યાયી અને હાલમાં નિવૃત્ત થયેલા શિક્ષકગણનો સંપર્ક કર્યો અને બધાને પોતાના કુટુંબ સહિત હાજર રહેવા આમંત્રણ મોકલી આપ્યું. જુઓ સ્નેહ ટપકતી એ આમંતણ પત્રિકા.
 
જુલાઈની ૧૫ તારીખે ૨૨ વરસ પછી મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બધાએ માણ્યો. લગભગ ૯૫% હાજર રહી શક્યા હતા. આ સમયે ૧૯૮૯ માં જે પ્રિન્સિપાલ હતા તે સ્વ. સિસ્ટર જોહાનાને પણ યાદ કરી એમને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ આખા કાર્યક્રમનું વિચાર-બીજ ભાઈ અલયના દિમાગમાં રોપાયું અને એને પરિપૂર્ણ કર્યું. અને બધાનો સંપર્ક કરી આમંત્રણ પત્રિકા મોકલી અને ઉદાર દિલે આ આખા કાર્યક્રમનો ખર્ચ પોતે ઉપાડી લીધો. શ્રી. અલયભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
 
ઉમરેઠના યુવા પત્રકાર અને ‘આપણું ઉમરેઠ’ બ્લોગના સંચાલક મારા બ્લોગર-મિત્ર શ્રી. વિવેક દોશીએ સરદાર ગુર્જરીમાં (જુલાઈ ૧૮ ૨૦૧૨) આપેલો પોતાનો અહેવાલ.
 
શ્રી અલયભાઈએ તૈયાર કરેલ આ પ્રસંગના પિક્ચર આલ્બમને જોવા માટે અહીં ક્લિક કરો.