નવક્રાન્તિ અંક ૪૭ – ૨૦૧૨
ગરવી નવક્રાન્તિ અંક ૪૭ – ૨૦૧૨
દૂત નવેમ્બર – ૨૦૧૨
OASIS VALLEYSની મુલાકાતે . . . જુઓ…. જાણો…. અને જોડાઓ
છેલ્લાં બે સપ્તાહથી આશાદીપ વિદ્યાનગરમાં હોલેન્ડની બે કોલેજિયન યુવતીઓ અહીનું લોકજીવન નિહાળવા અને તેનો અભ્યાસ કરવાના ધ્યેયથી આવી છે ને જુદી જુદી જગ્યાએ જઈને બધું જૂએ છે ને રહીને અનુભવ કરે છે. તા 17 મીના રોજ હું તેમને ચાણોદમાં નર્મદા નદીને કિનારે કોતરમાં ઉભું કરેલ એક જાણીતું કેન્દ્ર કે જે ઓએસીસ વેલીસ (OASIS VALLEYS) તરીકે ઓળખાય છે તે જોવા લઇ ગયો હતો.
આશરે વીશેક વરસો પહેલા વડોદરામાં કેટલાંક યુવક યુવતીઓએ ભેગાં મળીને સમાજ માટે કૈંક કરવાનો સંકલ્પ કર્યો અને ઓએસીસ નામે સંજીવ શાહની આગેવાની હેઠળ એક ગ્રુપ શરુ કર્યું. ગ્રુપના સભ્યો પાંચ વરસ સુધી સાથે રહ્યા અને શું કરવું તેની ચર્ચા વિચારણા તથા મનોમંથન કર્યું. આ ગ્રુપ સાથે હું તેની શરૂઆતથી મિત્ર રહ્યો છું અને તેમને સાથ સહકાર આપતો આવ્યો છું. આ બધાં યુવક–યુવતીઓ શિક્ષિત, સંસ્કારી અને સામાજિક નિસબત ધરાવતી આશાસ્પદ વ્યક્તિઓ છે. તેઓ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જવાબદાર નાગરીકો ઘડવા ને પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સામાન્ય પ્રકારનું અને ચીલા ચાલુ જીવન જીવવા કરતા કૈંક જુદા પ્રકારની જીવનશૈલી અપનાવવી એવો તેમને સંકલ્પ કર્યો છે. મનગમતી ને જીવનમાં આનંદ આપે તેવી પ્રવૃતિઓ કરાવી ને તેમાંથી જીવન નિર્વાહ માટે આવક પેદા કરાવી એવું તેઓ માને છે ને એમાં સફળ પણ થયા છે.
ચાણોદમાં નર્મદા નદીના કોતરોમાં જેમાં કશુજ ઊગી શકાતું નહોતું તેવી ખરાબાની જમીન કોઈએ તેમને વેચી. આ ગ્રુપે આજે એ જમીનની કાયા પલટી નાખી છે. આજે અહી વિવિધ પ્રકારના ૪૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં છે ને એકેય ઝાડ એવું નથી કે જે નકામું હોય ને કશા કામમાં ન આવતું હોય. તેઓ વિલાયતી ખાતરના વિરોધી છે અને માત્ર ને માત્ર દેશી (ઓર્ગનીક) ખાતર વાપરે છે ને બનાવે પણ છે. આ ફાર્મ અને આ ગ્રુપ વિષે મારે એટલું બધું કહેવાનું છે કે આજે તે માટે સમય અને અવકાશ નથી. છેલ્લા કેટલાંક વખતથી તેઓએ શાળાઓમાં ભણતાં કિશોર– કિશોરીઓના વ્યક્તિ ઘડતરની શિબિરોનું આયોજન કરવાનો આરંભ કર્યો છે ને તેમાં સફળ થયા છે. ખુદને મને તેમની આ સદ્પ્રવૃતિ ઘણી ગમે છે ને મારી રીતે ત્યાં કોઈને મોકલવાનો પ્રયાસ કરું છું.
ઓએસીસ વેલીસ નાં ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુપના મિત્રોને તેમને આમંત્રણ આપ્યું હતું જેમાં મારો પણ સમાવેશ કર્યો હતો ને ત્યાં જઈને મેં ઘણો આનંદ માન્યો હતો.
ફાધર વિલિયમ