All posts by admin

સ્વ. શ્રી. ઈગ્નાસભાઈ જેકબભાઈ મેકવાન માટે શ્રધ્ધાંજલી સભા – જુલાઈ ૧૨ ૨૦૧૨.

 

ગુજરાતી કેથોલિક સમાજના ભૂતપૂર્વ મંત્રી (૨૦૦૬-૨૦૧૦) અને ગુજરાત રાજ્યના નિવૃત્ત સિનિયર ઑડિટર શ્રી. ઈગ્નાસભાઈ જુલાઈની ૦૭ તારીખે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. એમને શ્રધ્ધાંજલી આપવા માટે એક ખાસ સભાનું આયોજન શ્રી. કિરિટભાઈ ડાભીએ નડિયાદના મિશન રોડ પર આવેલા ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના હૉલમાં કર્યું હતું. ગુજરાતી કેથોલિક સમાજના ઘણા આગેવાનો અને સભ્યોએ આ સભામાં હાજર રહી સદગતને પોતાની આગવી રીતે શ્રધ્ધાંજલી આપી હતી. આ સભામાં કેથોલિક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી. કિરિટભાઈ મેકવાન, નડિયાદ સિવિલ હોસ્પીટલના ડો. કૌશિક ગોહિલ, એમના પિતા અને ખેડા જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણાધિકારી શ્રી. જોન ગોહિલ હાજર રહ્યા હતા. શ્રી. કિરિટભાઈ મેકવાને અંતમાં હાજર સર્વનો આભાર માન્યો હતો.

 
માહિતી: શ્રી. કનુભાઈ પરમાર, આણંદ 

ફાધર અનિલ લુકાસ મેકવાનનું નિધન – હમણાં કલાક પહેલા – જુલાઈ ૨૨, ૨૦૧૨

 

મૂળ વલાસણના ફા.અનિલ લુકાસ મેકવાન હમણાં કલાક પહેલા જ પ્રભુને પ્યારા થઇ ગયા છે. ગઈ કાલે સવારે તેમને હ્રદયરોગનો ભારે હુમલો થયો હતો. આજે નડીયાદ કાર્ડિઆક હોસ્પિટલ માં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ફાધરે ગુજરાતભરમાં વડોદરા, ખંભાત, ધંધુકા, સાગબારા જેવી અલગ અલગ સ્કૂલોમાં શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ બક્ષે.

 

ફાધર અનિલની દફનવિધિ આવતીકાલે સોમવાર, જુલાઈ ૨૩ તારીખે બપોરે ૪ વાગે કેથોલિક ચર્ચ આણંદ ખાતે રાખવામાં આવી છે.

 

સમાચાર – સુનિતા પરમાર, કરમસદ અને શ્વેતા વાઘેલા, ગાંધીનગર

ગુજરાતની કેથોલિક હાઈસ્કૂલના ચાર યાજ્ઞિક-આચાર્ય અમેરિકાની ટૂંકી મુલાકાતે – ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ

ગુજરાતમાં ઘણી પ્રખ્યાત કેથોલિક હાઈસ્કૂલ છે જેમાંથી શિક્ષણ મેળવી કેટલાય વિદ્યાર્થીઓએ દેશ-પરદેશમાં ઊજ્વળ કારકિર્દી મેળવી છે. એમાંની ચાર હાઈસ્કૂલના આચાર્ય જે જેસુઇટ યાજ્ઞિક પણ છે તે બોસ્ટન અમેરિકા ખાતે યોજાઈ રહેલી ચાર દિવસીય શૈક્ષણિક પરિષદમાં શિક્ષણની નવી ક્ષિતિજને આંબવાની ચર્ચા-વિચારણામાં ભાગ લેવા જુલાઈ મહિનાના અંતમાં આવી રહ્યા છે. ન્યુ યોર્ક-ન્યુ જર્સી ની આસપાસ વસતા ગુજરાતી કેથોલિક ભાગ્યશાળી છે કે તેઓની આ ટૂંકી મુલાકાત દરમ્યાન પણ સમય ફાળવી તેઓ આપણા માટે ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરશે.

 

ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ ના નેજા હેઠળ ઓગષ્ટની ૫ મી તારીખે બપોરે બરાબર ૧ વાગે ગુજરાતી ખિસ્તયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે જે નક્કી થતાંજ એની જાહેરાત કરવામાં આવશે. તો હાલ તમારા તારીખિયામાં આની નોંધ કરી દો. ટૂંક સમયમાં આવનાર ચાર આચાર્યની ઓળખાણ સાથે સ્થળની જાહેરાત કરવામાં આવશે તો ફરી અહીં મુલાકાત લેતા રહેજો.

સદભાવના ફોરમમાં જોડાવા માટે ફાધર વિલિયમનું આમંત્રણ.

સદભાવના ફોરમ

 

તા. ૧૧ મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ફોરમની એક મહત્વની મિટિંગ યોજાઈ ગઈ જેમાં સદભાવના ફોરમની કાર્યવાહી તથા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને છેલ્લાં ચાર વરસોમાં તેણે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનો હિસાબ-કિતાબ કરવામાં આવ્યો. ફોરમના બધા સભ્યોએ પ્રસ્તુત બાબતે જે પ્રતિભાવો રજૂ કર્યા એ બધા જ વિધેયાત્મક અને સંતોષકારક હતા. ફોરમનો ઉદ્દેશ ‘ગુજરાતમાં સઘળે સામાજિક સંવાદિતા’ સ્થપાય ને જળવાય તેને હજીયે વધુ બળવત્તર બનાવવા સાથે સાથે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આવા શુભકાર્યમાં રોકાયેલ હોય તેની કદર થાય તથા એને પ્રોત્સાહન મળે એ હેતુસર પ્રતિ વર્ષ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ બે એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. તદનુસાર પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુલ આશ્રમ, મહુવામાં યોજાતા ‘સદભાવના પર્વ’ દરમ્યાન ઉપસ્થિત સહુની સમક્ષ શ્રી. મોરારિ બાપુના હસ્તે સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ બે વ્યક્તિઓ/સંસ્થાઓને એક એક લાખ રૂપિયાનો એમ બે એવોર્ડ એનાયત કરી તેમને વધાવી લેવામાં આવશે.
 
લાંબા ગાળાનાં ફળ ઉપજાવે તેવો બીજો નિર્ણય લેવામાં આવ્યો  એ આ છે: જે જે સ્થળોએ શ્રી. મોરારિ બાપુની કથા ચાલતી હોય ત્યાં રોજ રોજ ચોપાસનાં સ્થળોએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ પ્રદાન કરતા શિક્ષકો માટે શ્રી. મોરારિ બાપુની સાથે બેઠકો યોજવી અને તેમને સદભાવના ફોરમના ઉદ્દેશથી વાકેફ કરી તેમાં જોડાવા પ્રેરણા આપવી જેથી તેમના દ્વારા ચોપાસની શાળાઓમાં ભણતા વિશાળ વિદ્યાર્થી સમૂહોને સામાજિક સંવાદિતાનો સંદેશો પહોંચી જાય અને કિશોરાવસ્થાથી જ તેમનામાં ભાઈચારાના સંસ્કારોનાં બીજ રોપાય.
 
બે સાલ પહેલાં કીર્તિમંદિર પોરબંદરથી ગાંધી આશ્રમ, અમદાવાદ સુધી સદભાવના (વાહન) યાત્રા યોજવામાં આવી હતી જેનો બાકી રહેલો બીજો તબક્કો અર્થાત ગાંધી આશ્રમથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કરવું એવો નિર્ણય પણ લેવામાં આવ્યો. પ્રસ્તુત યાત્રામાં તેના માર્ગમાં આવતા વિવિધ જિલ્લા વિસ્તારોને આવરી લઈ મહત્વનાં સ્થળો, બહુધા કોલેજીયનો સાથે જાહેરસભાઓ યોજવી. આ જાહેરસભાઓને રાજ્ય તથા રાજ્યની બહારની જાણીતી વ્યક્તિઓ સંબોધન કરશે અને યુવાવર્ગોને સામાજિક સંવાદિતાનો સંદેશો આપશે. હકીકતે ગુજરાતનો યુવાવર્ગ કે જે આવતી કાલનું આપણું ભાવિ છે તેને યાત્રાના આ દિવસોમાં ખાસ લક્ષ્યમાં રાખવામાં આવનાર છે.
 
આપ જોઈ શકશો તેમ સદભાવના ફોરમના સભ્ય તરીકે મારે ઘણીબધી મહત્વની ભૂમિકા અદા કરવાની ભારે જવાબદારી છે. એટલે, સહુ મિત્રોને અપીલ કરું છું કે તે સભાનપણે અદા કરવામાં આપ સહુ મને સહકાર આપશો. વળી, ગુજરાતના ખૂણે ખૂણે સમાજિક સંવાદિતા પ્રગટે, જળવાય અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય એ માટે ગુજરાતના ખ્રિસ્તિ સમૂહોમાંથી બહોળી સંખ્યામાં લોકો આ અભિયાન-મીશનમાં જોડાય અને સક્રિય બને એવી પણ મારી તીવ્ર ઈચ્છા છે તો એ માટે પણ તમારો સહકાર માંગું છું. મારો મોબાઈલનંબર નીચે આપું છું જેથી આ બાબતે માહિતી મેળવવામાં તમને સરળતા રહે.
ફાધર વિલિયમ – મો: ૯૪૨૭૦૨૬૦૮૩