All posts by admin
The Warmth of Humanity – Blanket distribution to needy and homeless in and around Anand.
#નાતાલની_અનોખી_ઉજવણી
” આણંદના તમામ ભિક્ષુકોને ધાબળાની હૂંફાળી ભેટ ”
ઇસુ મસીહાના જન્મ ટાણે ઉજવાતા ” નાતાલ પર્વ ” ની ઉજવણીને સમાજલક્ષી બનાવવાની મંશા દાખવી આણંદ, વિદ્યાનગર, પેટલાદ, ખંભાત તથા કઠલાલના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર પડ્યા રહેતા નિરાધારોને ભીષણ ઠંડીમાંથી ઉગારી લેવાની સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ દ્વારા જે કટિબદ્ધતા દાખવવામાં આવી છે તેણે સમાજના વિવિધ વર્ગો તથા સંપ્રદાયો પર સારી એવી છાપ છોડી છે.
” અમને આપો ઉછીનું દુ:ખ ” જેવા સંવેદાત્મક મુદ્રાલેખ સાથે માનવ સેવાના મેદાનમાં ઉતરેલી આ સંસ્થાએ તા-30/12/2016 ની મધ્યરાત્રિના 11:00 થી સવારના 3:00 દરમિયાન આણંદના વિવિધ વિસ્તારો જેવા કે વિદ્યાનગર થી જનતા ચોકડી, ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી, 100 ફૂટનો રોડ, ગ્રિડ ચોકડી, નવા બસસ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, મહાવીર માર્ગ,ગુજરાતી ચોકડી, રેલવે સ્ટેશન, ગોધરા પ્લેટફોર્મ, સુપર માર્કેટ, ગામડી વડ, બેઠક મંદિર, જલારામ મંદિર, ટાઉન હોલ વગેરે સ્થળોએ ખુલ્લામાં સુતા ભિક્ષુકોને સંસ્થાના ટ્રસ્ટી બકુલ પરમાર તથા તેમની સાથે સ્વૈચ્છિક સેવા માટે જોડાયેલા ઉર્વીશ પટેલ, હર્ષ પટેલ અને રોનક પરમાર દ્વારા ધાબળાઓ ઓઢાડવામા આવ્યા હતા.
ભીખ માંગીને જીવન બસર કરનાર ભિક્ષુકો કાતિલ ઠંડીમાં ગરમ ઓઢણને અભાવે જિન્દગી થી હાથ ધોઈ બેસે છે તે જોતાં ધાબળની આ હૂંફ ઘણાના જીવન ઉગારી લેશે તેવી શ્રદ્ધા ઘણાએ વ્યક્ત કરી હતી.
છેલ્લા બે વર્ષથી ચાલતી આ માનવતા લક્ષી પ્રવૃત્તિને સમાજના વિવિધ વર્ગોનો આર્થિક સહકાર મળી રહ્યો છે તે જોતાં એમ લાગે છે કે માનવતાને વધાવતા માનવો હજુ પણ હયાત છે. નાત જાત કે ધર્મના ભેદભાવોથી પર રહેલો આ સેવાયજ્ઞ અનેકો માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે જેનો સઘળો શ્રેય માનવતા લક્ષી કાર્યોમાં કોઇપણ ભોગે કોઇપણ પ્રકારે પોતાનું યોગદાન આપનારાં ને ફાળે જાય છે.
હસમુખ ક્રિશ્ચિયન
સેન્ટ પોલ માનવ વિકાસ કેન્દ્ર આણંદ.
31/12/2016.







