Tag Archives: Archbishop Stanislaus

ચક્રવાત સેન્ડિ ત્રાટક્યું, તબાહી ફેલાવી ગયું. જાનહાની અને અબજોની ખુવારી. ઓક્ટોબર ૨૯-૩૦, ૨૦૧૨

ન્યુ જર્સીમાં ૨૭ વરસના વસવાટ દરમ્યાન ધણી દુર્ઘટનાઓ ઘટી છે. મારા હિસાબે આ યાદીમાં નીચેની બે દુર્ઘટના ઉપરના ક્રમે આવે છે.

 

૯૧૧ અને ચક્રવાત સેન્ડિ.

 

 

ચક્રવાત સેન્ડિ જેવું ભયાનક વાવાઝોડું ન્યુ જર્સી-ન્યુ યોર્ક વિસ્તારમાં છેલ્લા ૫૦ વરસમાં કોઈએ જોયું નથી. સૂચના અને પ્રસારણ માધ્યમ દ્વારા લગભગ અઠવાડિયા પહેલાંથી સત્તાવાર પૂર્વસૂચના અને ચેતવણી રજૂ કરતા હતા. લોકોને બે-ચાર દિવસ ચાલે એટલી જીવન જરૂરી વસ્તુઓ જેમકે પાણી, ખાદ્યસામગ્રી, ફ્લેશ-લાઈટ વગેરે મેળવી લેવા તકેદારી કરી હતી. દરિયાકિનારાના વિસ્તાર અને નિચાણવાળા વિસ્તારના નિવાસીઓને જરૂરી સામગ્રી સાથે પોતાના નિવાસસ્થાનને બરાબર બંધ કરીને પોતાના સંબંધીને ત્યાં આશ્રય લે અથવા સરકારી આશ્રયસ્થાન પર આશ્રય મેળવી લે એવી આજીજી કરવામાં આવતી હતી. અને પૂરતો સમય આપ્યા પછી રવિવાર, ઓકટોબર ૨૮, ૨૦૧૨ રાતના બાર વાગ્યા સુધીમાં જાહેર વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો. અને સોમવારે બપોરથી સેન્ડિનું તાંડવ-નૃત્ય શરૂ થયું તો મંગળવાર વહેલી સવારના ચાર વગ્યા સુધી ચાલ્યું. પવન અને પાણીના પ્રવાહમાં મોટાં વહાણો, આખાને આખા રસ્તા, મકાનોને એના પાયામાંથી ઊખાડી ખસેડી દીધા તો ઘણાં ઘરો હોવાનો કોઈ પૂરાવો પણ ના રહ્યો. પાંચથી દસ ફૂટ પાણી ભરાઈ ગયાં. ૬ ફૂટ પાણી ભારાએલ એક વિસ્તારમાં ૧૧૧ ઘર આગમાં ભસ્મીભૂત થઈ ગયાં. ઘણી જગ્યાએ નેચરલ ગેસના વિસ્ફોટના કારણે આગ લાગી અને ઘણાં ઘર એમાં નાશ પામ્યા. અત્યાર સુધીના અહેવાલ મુજબ ૯૦ વ્યક્તિઓના જીવન સંકેલાઈ ગયા છે. લાખો લોકો વિજળી વગર છે. જાહેર વાહનવ્યવહાર ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે. પણ આ ઘાવ ભરાતાં વરસો લાગશે અને નિશાન ભૂસાતાં ખબર નહીં કેટલાં! આશા રાખીએ કે આ હોનારતથી અસરગ્રસ્ત સૌની જરૂરિયાત જલ્દીથી પૂરી થાય. સામાન્ય જીવન જલ્દીથી સામાન્ય બને. આ હોનારત દરમ્યાન પોતાની કે પાતાના કુટુંબની ચિંતા કર્યા વગર કામ કરતા સર્વ કાર્યકરોનો આભાર.

 

પરમેશ્વરની પરમ કૃપાથી હું અને મારું સઘળું કુટુંબ મારાં ભાઈ-બહેન અને એમના કુટુંબ સહીત બધાં સહીસલામત છીએ. ન્યુ યોર્ક/ન્યુ જર્સી માં રહેતાં મોટાં ભાગના બધાં ગુજરાતી ક્રિશ્ચિયન કુટુંબો પણ સહીસલામત છે. મિત્રો અને સગાંઓની પાર્થના માટે અમે બધાં આપના આભારી છીએ. ઘણા બધા મિત્રોએ ફોન દ્વારા ટેક્ષ દ્વારા ઈમેલ દ્વારા ફેસબુક દ્વારા અમારી કુશળતા માટે ચિંતા વ્યક્ત કરી છે અમારી કુશળતા માટે પ્રાર્થના કરી છે એ સર્વના અમે આભારી છીએ.

 

બધાંના નામ ના લેતા બે મહાનુભાવોના નામ જણાવવા આવશ્યક સમજું છું. અમદાવાદ ધર્માપ્રાંતના ધર્માધ્યક્ષ માનનીય થોમાસ મેકવાન જેમણે ઈમેલથી સંપર્ક કરી ગુજરાતના ખ્રિસ્તી લોકોની ચિંતા વ્યક્ત કરી અને પોતાની પ્રાર્થનાની ખાત્રી આપી અને બીજા દિવસે ફોન કરી અમારા બધાના સલામતીની પૂછપરછ કરી. આપનો ખૂબ ખૂબ આભાર બિશપ સાહેબ આપના પ્રેમ લાગણી ચિંતા અને પ્રાર્થના માટે.   

 

 

 

ગાંધીનગર ધર્મપાંતના મહા ધર્માધ્યક્ષ માનનીય સ્તાનિસલાઉસ ફર્નાન્ડિઝ ની પણ ઈમેલ આવી અને ગુજરાતના ખ્રિસ્તી કુટુંબોની ચિંતા વ્યક્ત કરી પ્રાર્થાના અને આશિર્વાદથી અભિભૂત કર્યા એના માટે ખૂબ ખૂબ આભારી છીએ.

 

 

 

મારા ઘરને થોડું નુકશાન થયું છે જેના પિક્ચર નીચે જોઈ શકો છો. સોમવાર રાત્રે ૭-૪૨ અમારા વિસ્તારમાં વિજળી પ્રવાહ અટકી ગયો હતો જે મંગળવારે સવારે ૬ વાગે પાછો આવી ગયો હતો. પણ મારા શહેરના ઘણા વિસ્તારમાં વિજળી પાછી ફરતાં બે દિવસ નીકળી ગયા.

 

 

 

મારા ભાઈ કેતનના ઘરે પણ નજીવું  નુકશાન થયું હતું જેના પિક્ચર નીચે જોઈ શકો છો. કેતના વિસ્તારમાં પણ વિજળી પ્રવાહ મંગળવારે રાત્રે પાછો આવ્યો પણ એનાજ ટાઉનમાં બીજા વિસ્તારોમાં હજુ પણ વિજળી પ્રવાહ નથી.

 

 

 

 

મારી ગલીમાં અને આજુબાજુ થયેલ નુકશાનના થોડા પિક્ચર નીચે આપ્યા છે.

 

ઉપરના પિક્ચર તો કશું નથી સેન્ડિની ભયાનકતા જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

Congratulations to Sr. Salome Ortiz O.P. who celebrated her 50 golden years of religious life.

 

” I just enjoy Loving and Serving the people around me that the good Lord has given without seeing their caste, culture, or religion ” words of Sr. Salome Ortiz O.P. who on 14th Oct. 2012 celebrated her 50 Golden years of Religious life . Archbishop Stanislaus Fernandes, the Archbishop of Gandhinagar, in his homily thanked the Lord for the gift of Sr. Salome to the Church of Gujarat. He also appreciated her dedicated service. About 500 people from all walks of life took part in the Holy Eucharist and the cultural programme  with delicious meal thereafter. Congratulations to Sr. Solome Ortiz O.P.

 

News reported by Fr. Titus DeCosta, Pic. by Mr. Mohammd – Gujarat Studio, Balasinor

ફાધર એલેક્ષના વરદ હસ્તે પવિત્ર ખ્રિસ્તયજ્ઞ બાદ ફાધરનો હ્રદયસ્પર્શી વિદાય સમારંભ મે ૧૯, ૨૦૧૨

 

હૃદયસ્પર્શી વિદાય સમારંભ!

     
“ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ના ઉપક્રમે ‘ગુજરાતી માસ’ સાથે વિદાય સમારંભનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૯ મે, ૨૦૧૨ને શનિવારે બપોરના ૨:૩૦થી ફા. ડૉ. એલેક્ષ જોસેફના શુભહસ્તે ‘પવિત્ર ખ્રિસ્તયજ્ઞ’ની ધાર્મિક વિધિમાં સંસ્થાના સભ્યો અને પરિવરજનોએ ભક્તિભાવે ભાગ લીધો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સી ખાતે આવેલા ભવ્ય ”અવર લેડી ઑફ માઉન્ટ કાર્મેલ ચર્ચ”માં ગુજરાતી ભક્તિગીતો તાલ-સૂરે સમૂહમાં ગાવામાં સૌએ સાથ આપ્યો હતો. હાર્મોનિયમ પર શ્રી જગદીશ ક્રિશ્ચિયન અને ઢોલક પર સર્વશ્રી રજની અને અમિત મેકવાન સાથે કલ્પેશ ક્રિશ્ચિયને સંગત આપી હતી. પરસ્પર પ્રેમ અંગેના બાઈબલ વાંચન પર ફા. એલેક્ષે પ્રભુ ઈસુના પ્રેમનો સંદેશો પોતાના જીવન વ્યવહાર દ્વારા વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.
     
૩:૩૦ કલાકે ધાર્મિક વિધિ પૂરી થતાં ચર્ચની બાજુમાં જ આવેલા હોલમાં ફા.  ડૉ. એલેક્ષનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્રથમ હળવા નાસ્તા સાથે સામાજિકતાના માહોલમાં હળવા-મળવાના સમય બાદ ઉદઘોષક તરીકે શ્રી.  કેતન ક્રિશ્ચિયને સૌને આવકારતાં ફા. એલેક્ષને વિદાય આપવાનો આજની સભાનો હેતુ જણાવતાં હતા ત્યારે હળવા અવાજમાં “આજ જાનેકી જીદ ન કરો” ગીત-ગૂંજનથી સાંકેતિક વિદાયની સૌને દુ:ખ મિશ્રીત પ્રતિતિ થઈ હતી.
     
સંસ્થાના સ્થાપક અને વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારને મંચ પર બેઠક લેવા વિનંતી કરી હતી. કુ. શર્લિન પરમારના હસ્તે શ્રી. જોસેફ પરમારને પુષ્પગુચ્છ અર્પીને સન્માન કરવાના જવાબમાં તેમણે સંસ્થાની સ્થાપનાનો હેતુ, સંસ્થાની કાયદેસરતા અને બંધારણ અંગે માહિતી આપી હતી. બે વર્ષમાં આદર્શ પ્રણાલિકા, નાણાંકીય હિસાબની પારદર્શિતા, સભ્યોનો આર્થિક સહયોગ અને યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને સૌનો આભાર માન્યો હતો. લોકશાહી નિયમ અનુસાર થયેલી  સંસ્થાની સૌપ્રથમ ચૂંટણીમાં ૯ કારોબારી સભ્યો માટે ૮ ઉમેદવારો હોઈ સર્વાનુમતે ચૂંટાયેલા સભ્યો સર્વશ્રી જગદીશ ક્રિશ્રિયન, શાંતિલાલ પરમાર, જેમ્સ જખર્યા, રજની મેકવાન, દિપક પરમાર, ફિલોમિના પરમાર, અમિત મેકવાન અને એરિક લિયોને સૌએ તાળીઓથી વધાવ્યા હતા.  વધુમાં ૨૦૧૨-૧૩-૧૪ની ત્રણ વર્ષની ટર્મ માટે સર્વાનુમતે ચૂટાયેલા પ્રમુખ તરીકે શ્રી.શાંતિલાલ પરમારને મંચ ઉપર આમંત્રિત આપતાં સૌ સભાજનોએ  તાળીઓથી ખુશી વ્યક્ત કરી હતી. કુ. હર્ષિની કુમારના હસ્તે પુષ્પ્ગુચ્છથી નવા પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાને પસંદ કરવા બદલ સૌનો આભાર માન્યો હતો. વિદાય લેતા પ્રમુખશ્રી જોસેફ પરમારની સેવાની સરાહના કરતાં આભાર માન્યો હતો અને સંસ્થાની પ્રગતિ અર્થે  સૌના સહકાર માટે વિનંતી કરી હતી.     
  
ફા. ડૉ. એલેક્ષ પોતાની ડૉક્ટરેટની ઉચ્ચ પદવી મેળવીને અમેરિકામાંથી વિદાય લઈ રહ્યાની શ્રી કેતનભાઈએ રજૂઆત કરીને તેમને મંચ પર બેઠક લેવાની વિનંતી કરતાં સભાજનોએ તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈને પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી જગદીશ ક્રિશ્ચિયને ફા. એલેક્ષનો પરિચય આપતાં તેઓના જન્મ, શિક્ષણ અને દીક્ષા બાદની વિવિધ સેવાઓની વિગતો આપી હતી. તેઓના ૯-૧૦ વર્ષના અમેરિકાના વસવાટ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સાથે ન્યુયોર્કસ્થિત સેંટ પિટર ચર્ચમાં મદદનીશ પુરોહિત તરીકે લોક્પ્રિયતા મેળવી હતી.  આ સમય દરમિયાન “ગુ. કે. સ. ઑફ યુએસએ”ના કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રસંગોપાત ગુજરાતી ખ્રિસ્તયજ્ઞના લાભ આપ્યા છે. ગુજરાતી કેથલિક પરિવારોના સારા-માઠા પ્રસંગોમાં, રૂબરૂ હાજર રહીને આધ્યાત્મિક હૂંફ આપીને જાણે કે સંસ્થાના અને પરિવારોના ‘પ્રીસ્ટ’ તરીકે કામગીરી કરી હોઈ સૌના પ્રિયપાત્ર રહ્યા છે.
   
ત્યારબાદ વિદાય પ્રસંગે ગાંધીનગરના માનનીય આર્ચબિશપ સ્ટેની ફર્નાન્ડિઝ અને અમદાવાદના માનનીય બિશપ થોમસ મેકવાનના આવેલા સંદેશાઓની શ્રી કેતન ક્રિશ્ચિયને વાચન કર્યું હતું, સંસ્થા તરફથી સુંદર ‘પ્લેક’ ફા. એલેક્ષને અર્પણ કરવામાં આવતાં પહેલાં કુ. નોએલિયા રોયના હસ્તે ફાધરનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના જૂના-નવા સૌ કારોબારીની ઉપસ્થિતિમાં “પ્લેક’ અર્પણની વિધિ ભાવપૂર્ણ બની રહી હતી.
    
રેવ. ડૉ. એલેક્ષે વિદાય પ્રવચન આપતાં પોતાની જવાબદારી એક ધર્મગૂરુ તરીકે નિભાવીને પ્રભુ ઈસુનાં કાર્યો પોતા દ્વારા કરવા પ્રયત્નો કર્યાનો ઉલ્લેખ કરીને પ્રભુનો આભાર માન્યો હતો. ઉચ્ચ શિક્ષણના અભ્યાસના બોજ સાથે પેરિશની કામગીરી અને સ્થાનિક ગુજરાતી કેથલિકો સાથે સહકરાત્મક મેળાપને પોતાના જીવનનું કાયમી સંભારણું ગણાવતાં ગદગદ થઈ ગયા હતા. સભાજનો અશ્રુભીની આંખે ફાધરને સાંભળતાં અને વારંવાર તાળીઓથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા. વિદાય લેતા ફાધરને સ્રવશ્રી તુલસી માયલ, કિરીટ જખાર્યા, ફિલોમિના પરમાર, અનિતા ક્રિશ્ચિયન, અમિત મેકવાન, જુલિયસ મેકવાન,વગેરેએ પોતાના અંગત પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ઉદઘોષક શ્રી. કેતન ક્રિશ્ચિયન કાર્યક્રમના સંચાલનમાં જોગાનુજોગ ફા. એલેક્ષની વિવિધ સેવાઓની રજૂઆત કરતા રહેતા હતા.
     
અંતમાં “જોશ ચેરીટી ફાઉન્ડેશન” તરફથી “ગુજરાતી કેથલિક સમાજ ઑફ યુએસએ”ને દાનમાં મળેલ ‘સોની વાયો બ્રાન્ડ’ લેપટોપ ફા. એલેક્ષને સંસ્થા તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. ફા. એલેક્ષે અહોભાવે સંસ્થાનો અને સૌનો આભાર માન્યો હતો. ત્યારે પાશ્વસંગીત “નગમે હૈ, શિકવે હૈ, રિસ્તે હૈ, બાતેં હૈ, યાદેં રહ જાતી હૈ, ચલે જાનેકે બાદ યાદ આતી હૈ” ગુંજનથી સૌની આંખોંમાં આંસુ આવી ગયાં હતાં.  
     
વ્યક્તિગત ભેટ અર્પીને ઘણાં પરિવારોએ ફા. એલેક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ધર્મ અને સમાજના સમન્વયનું એક આગવું પ્રકરણ, એટલે ફા. એલેક્ષ અને અમેરિકાના ગુજરાતી કેથલિકોનો પરસ્પરનો સહકારાત્મક યાદગાર ઈતિહાસ!     
     
પ્રસંગ અનુસાર ઈલા અને ક્લેરા ક્રિશ્ચિયન, માનસી અને પૂર્વી મેકવાન, એલેક્ષ રાઠોડ, ફ્લોરેન્સ મેકવાન, નીલા લિયો અને તુલસી અને ઝુલી માયલ તરફથી ફૂડ-સોડા-પેપર પ્રોડક્ટ્સ, વગેરે પૂરું પાડીને ઉદાર સહાય કરી હતી. ઉપરોક્ત મહિલાઓ સહિત શારદા અને ફિલોમિના પરમાર, ફિલિસ અને અનિતા ક્રિશ્ચિયન, કોકિલા કુમાર, વગેરેએ પિરસવાની વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. સૌએ હાથોહાથ સહકારથી સભાખંડની વ્યવસ્થા અને સફાઈ સંભાળી લીધી હતી. સાઉન્ડ સીસ્ટમ શ્રી રજની અને અમિત મેકવાન બંધુઓએ સંસ્થાને વિનામૂલ્યે આપી-સંભાળીને સહાય કરી હતી.  
માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
 
Click on above picture to read his message

 

Click to read his message