માતા મરિયયમધામની યાત્રા
Metuchen, NJ-ધર્મસંઘના ઉપક્રમે પવિત્ર યાત્રાધામનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૦ મે, ૨૦૧૪ને શનિવારે સવારના ૭ વાગે ૫૬ પેસેન્જરની બસ “વોશિંગ્ટનડી. સી.” પહોંચવા ઉપડી હતી. “મેટાચન ધર્મસંઘ”નાં ‘મલ્ટી કલ્ચરલ મિનિસ્ટ્રી”નાં ડાયરેક્ટર સીસ્ટર રૂથ બોલર્ટેના વડપણ હેઠળ “ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ”ને આ યાદગાર પવિત્રધામની યાત્રામાં સહભાગી થવાની તક સાંપડી હતી. સંસ્થાના ઉત્સાહી કાર્યકરશ્રી જગદીશ ક્રિશ્ચિયન અને પ્રમુખશ્રી શાંતિલાલ પરમારના સુપેર આયોજનથી સંસ્થાના ૨૯ સભ્યો યાત્રામાં જોડાયા હતા.
સવારના ૬:૪૦ કલાકે “૧૨ ફિલિપીન, ૧૦ ચાઇનીઝ, ૨ ઇન્ડોનેશિયન, ૨ સીસ્ટરો સાથેના ગુજરાતી કેથલિકોએ પાસ્ટરલ સેન્ટર” પીસ્કાટ્વે, ન્યુ જર્સીના સ્થળેથી પ્રાર્થના કરીને યાત્રાનો આરંભ કર્યો હતો. ખુશનુમા હવામાનમાં ગુજરાતી-અંગ્રેજીમાં ગુલાબમાળાના જાપમાં સૌ યાત્રાળુઓએ ભક્તિભાવે ભાગ લીધો હતો. “સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય” ગુજરાતી ગ્રુપે સમૂહમાં ભક્તિગીત ગાતાં સૌને માતા મરિયમના યાત્રામાં જોડાયાનો ઉત્સાહ વધ્યો હતો. બે કલાકની મુસાફરી બાદ ‘રેસ્ટ એરિયા’માં સૌએ હળવાશ મેળવી હતી.
સવારના ૧૧:૨૦ કલાકે “Basilica of the National Shrine of the Immaculate Conception”ના ભવ્યાતિભવ્ય ચર્ચના પ્રાંગણમાં પહોંચ્યાનો આનંદભાવ સૌમાં વર્તાતો હતો. બપોરના ૧:૦૦ વાગ્યે “Asian and Pacific Island Catholics for Mary” 12th Annual Pilgrimage કાર્યક્રમ શરૂ થનાર હતો. ત્યાર પહેલાં ગુજરાતી ગ્રુપે સમૂહભોજનની લિજ્જત માણી હતી. યાત્રામાં જોડાયેલાં સૌ ફેમિલી પોતાની વાનગીઓ સહભાગી બનીને આરોગી હતી.
વિશાળ અદ્દભૂત ચર્ચનો પવિત્ર માહોલ અને લીલીછમ હળિયાળી મનને શાંતિ પ્રેરતી હતી. વિવિધ દેશ-જાતિના યાત્રાળુઓ ચર્ચમાં પવિત્ર માતા મરિયમની આદર-સન્માનની પરેડમાં જોડાયા હતા. કર્ણમધૂર ગીતસંગીતના સૂર-સ્વરો સાથે પરેડની ભવ્યતા અને યાત્રાળુઓનો ભક્તિભાવ હૃદયને સ્પર્શતો હતો. વિવિધ દેશ-જાતિમાં ફિલિપાઇન, વિયેટનામી, કમ્બોડિયન, ચાઇનીઝ, કોરિયન, શ્રીલંકન, મ્યાનમાર, વૈલાંકિની-ઈન્ડિયન, મલબારી, જપાનીઝ, વગેરે સાથે “ગુ. કે. સમાજ ઓફ યુએસએ” પોતાના બેનર અને ભવ્ય મોટી એવી ગુલાબમાળાની પરેડમાં સૌએ ખાસ નોંધ લીધી હતી.
કેટલાંક ગ્રુપોએ પોતાની પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌની શાબાશી મેળવી હતી. Bishop Martin D. Hollyના હસ્તેના “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ”માં ૨૧ પ્રિસ્ટ જોડાયા હતા. પવિત્ર અને ગંભીર ‘ખ્રિસ્તયજ્ઞ”નો સંગીતમય ભક્તિયજ્ઞ મન-હૃદયને પ્રભુને મળ્યાનો અહેસાસ કરાવતો હતો. ૫,૦૦૦થી વધુ યાત્રાળુઓએ ભક્તિસભામાં ભાગ લઈને “પવિત્ર ખ્રિસ્તપ્રસાદ” સ્વીકારીને ધન્યતા અનુભવી હતી. ચર્ચની ભવ્યતા આંખને આંજી દે તેવી હતી. ચર્ચની વિશાળતા જોવા એક આખો દિવસ જોઈએ. ચર્ચના “મેમોરિયલ હોલ”માં ધાર્મિક ચીજવસ્તુઓની વિવિધતા જોવાની પણ મજા હતી. યાત્રાળુઓએ યાદગીરી માટે ખરીદી પણ કરી હતી. સાંજના ૫:૨૫ કલાકે યાત્રાધામેથી પરત નીકળતાં મુસાફરીમાં અધવચ્ચે ટૂંકા વિરામ પછી રાતના ૯:૧૫ કલાકે “પાસ્ટરલ સેન્ટર” પીસ્કાટ્વે બસ સહિસલામત પહોંચી હતી. સૌ યાત્રાળુઓ હશીખુશીથી ભેટી-મળીને એક યાદગાર યાત્રાનો આનંદ માણ્યાના ઉલ્લાસ સાથે પોતપોતાના નિવાસે જવા રવાના થયા હતા.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર.
પિક્ચર્સ – કેતન ક્રિશ્ચિયન, રોની મેકવાન, રાજ મેકવાન,
Please read the report on CatholicPhilly.com