ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના નેજા હેઠળ એક યાત્રા સાથે પિક્નિકનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરની ૨૨ તારીખના શનિવારે પેન્સિલ્વેનિયાના બાર્ટો શહેરમાં આવેલા નેશનલ સેન્ટર ફોર પાદરે પીઓ ધામની યાત્રામાં સામેલ થવા ન્યુ યોર્ક ન્યુ જર્સી અને આજુબાજુ રહેતા બધા ખ્રિસ્તી શ્રધ્ધાળુઓને આમંત્રણ છે.
સ્થળ : Padre Pio Spirituality Center, 111 Barto Road, Barto, PA 19504
વધુ માહિતી અને આ યાત્રા-પિક્નિક માં જોડાવા ઈચ્છતી વ્યક્તિઓએ મંગળવાર સ્પ્ટેમ્બર ૧૮ ૨૦૧૨ સુધીમાં નીચેની ઈમેલ પર જાણ કરવી.
ન્યૂ યોર્ક, ન્યુ જર્સીની આસપાસ રહેતા ગુજરાતી કેથલિક અને ખ્રિસ્તી લોકો સમયાંતરે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. અને છેલ્લા ૨૦ વરસથી આ પ્રવૃત્તિઓના પિક્ચર સાથેના સમાચાર-અહેવાલ અહીંના સ્થાનિક અખબાર-સામયિક (ગુજરાત ટાઈમ્સ,દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર,તિરંગા,ગુજરાત દર્પણ, અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ વગેરે અને અકિલા.કોમ) માં હંમેશા પ્રકાશિત થતા જ હોય છે. તે ઉપરાંત ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએની પોતાની વેબસાઈટ ઉપરાંત ફેસબુક પેજ પર પણ વિસ્તારમાં એ સમાચાર પ્રકાશિત થાય છે.
તથા આ વેબસાઈટ (જગદીશક્રિશ્ચિયન.કોમ) પર પણ દુનિયાભરના ગુજરાતી ખ્રિસ્તીઓની સમાજ-ધર્મ જીવનને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓના સમાચાર-હેવાલ રજૂ થતા રહે છે. હમણાં તાજેતરમાં અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ શ્રી. થોમાસ મેકવાન અમેરિકાની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ ના ઉપક્રમે ઓગસ્ટની ૧૯ તારીખે ગુજરાતી પવિત્ર ખ્રિસ્તયજ્ઞ અને સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ અહીંથી પ્રગટ થતા ‘ગુજરત ટાઈમ્સ’ ના ઓગસ્ટ ૩૧ ના અંકમાં પ્રસિધ્ધ થયા હતા. નીચે એ અહેવાલની કોપી છે. અને પિક્ચર આલ્બમ પણ મૂક્યું છે.
ગુજરાતમાં ઘણી પ્રખ્યાત કેથોલિક હાઈસ્કૂલ છે જેમાંથી શિક્ષણ મેળવી કેટલાય વિદ્યાર્થીઓએ દેશ-પરદેશમાં ઊજ્વળ કારકિર્દી મેળવી છે. એમાંની ચાર હાઈસ્કૂલના આચાર્ય જે જેસુઇટ યાજ્ઞિક પણ છે તે બોસ્ટન અમેરિકા ખાતે યોજાઈ રહેલી ચાર દિવસીય શૈક્ષણિક પરિષદમાં શિક્ષણની નવી ક્ષિતિજને આંબવાની ચર્ચા-વિચારણામાં ભાગ લેવા જુલાઈ મહિનાના અંતમાં આવી રહ્યા છે. ન્યુ યોર્ક-ન્યુ જર્સી ની આસપાસ વસતા ગુજરાતી કેથોલિક ભાગ્યશાળી છે કે તેઓની આ ટૂંકી મુલાકાત દરમ્યાન પણ સમય ફાળવી તેઓ આપણા માટે ગુજરાતી ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરશે.
ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુએસએ ના નેજા હેઠળ ઓગષ્ટની ૫ મી તારીખે બપોરે બરાબર ૧ વાગે ગુજરાતી ખિસ્તયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે જે નક્કી થતાંજ એની જાહેરાત કરવામાં આવશે. તો હાલ તમારા તારીખિયામાં આની નોંધ કરી દો. ટૂંક સમયમાં આવનાર ચાર આચાર્યની ઓળખાણ સાથે સ્થળની જાહેરાત કરવામાં આવશે તો ફરી અહીં મુલાકાત લેતા રહેજો.
તા. ૨૬ મે, ૨૦૧૨ને શનિવારે બપોર બાદ ૨:00 કલાકે ફા. વિનાયક જાદવ સાથે મળવા-હળવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાના ઉપક્રમે યોજાયો હતો. વુડબ્રીજ, ન્યુ જર્સીના શ્રી. જગદીશ અને ક્લેરા ક્રિશ્ચિયનના નિવસસ્થાને ફા. વિનાયકના શુભ હસ્તે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” પણ અર્પણ કરાવાનો હોઈ ૫૦ ઉપરાંત ગુજરાતી કેથલિકો એકત્ર થયા હતા. ફા.ને આવતાં એકાદ કલાકનો વિલંબ થવાથી સમૂહમાં ભક્તિ ગીતો તાલ-સૂર સાથે ગાઈને, તથા “ગુલાબમાળા”ની અને “પવિત્ર મારિયાની મે મહિનાની ભક્તિ”માં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ફા. વિનાયકે આવતાંની સાથે મોડા થવા બદલ અફસોસ વ્યક્ત કરીને સ્વજનોને ઉમળકાથી મળવાના ભાવ સાથે “પવિત્ર ખ્રિસ્તયજ્ઞ” અર્પણ વિધિની ૫0 મિનિટના સમયમાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. ફા. વિનાયક પોતાનો પી. એચ. ડી.નો અભ્યાસ પૂર્ણ કરવા છ મહિના માટે અમેરિકા આવ્યા છે. ફક્ત ટ્રાઈસ્ટેટ્ના ગુજરાતી કેથલિક પરિવારોને મળવાના હેતુસર આજનો આ કાર્યક્રમ યોજવાની જવાબદારી શ્રી જગદીશ ક્રિશ્ચિયને નિભાવી હતી.
આવનાર રવિવાર “પેન્તેકોસ પર્વ” હોઈ આરંભમાં “આવો,આવો, પરમા પવિત્ર હે આતમ” ગીતથી સભાખંડમાં પવિત્રતાનો માહોલ સર્જાયો હતો. બાઈબલવાચન ઉપર ફા. વિનાયકે “પવિત્રઆત્મા”ના ગૂઢાર્થને સરળ ભાષા અને રોજિંદા વપરાશની ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા સમજાવીને સૌને ખુશ કરી દીધાં હતાં. દરેકના અંતરમાં જાગતી પ્રેરણા, એ જ પવિત્ર આત્માની અનુભૂતિ હોઈ, સારી અને ખરાબ ઈચ્છા સમજવાની વ્યક્તિની જવાબદારી જાણી લેવી જોઈએ. રેડ-ગ્રીન ટ્રાફિટ સિન્ગલો, ઈન્ટરનેટ સીસ્ટમ, વગેરે જેવી આધૂનિક સુવિધાઓ સાથે સરખામણી કરીને ”પવિત્ર આત્મા”ની દોરવણીની પ્રક્રિયા સહજતાથી સમજાવી હતી. સમૂહમાં સૂર-તાલસહિત ભક્તિગીતો ગવાતાં, સમગ્ર ધમંવિધિમાં પુરોહિત તરીકે ફા. વિનાયક અને હાજર શ્રધ્ધાળુઓ સાથે એક ઘરેલુ ભાવનાત્મક સંબંધ બંધાયો હતો.
“ખ્રિસ્તયજ્ઞ” બાદ સેવ-ઉસળ-બુંદી-જલેબી અને ઠંડાં પીણાંની મજા માણતાં હાજર સૌ પરિવારો સાથે ફા. વિનાયકે આત્મિયતાથી મળીને સૌને સામાજિક વ્યવહારની ગુજરાતની પ્રણાલિકાનો અનુભવ કરાવ્યો હતો. સૌની સાથે મળવા-હળવા સાથે ગુજરાતી ધર્મસભા, ગુજરાતી ધર્મજનો, કેથલિક કોમ્યુનિટીની ગતિવિધિ, વગેરે ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. ક્લેરા અને ઈલા ક્રિશ્ચિયન તથા માનસી મેકવાને સ્વાદિષ્ટ વાનગી બનાવી હતી.
દર વર્ષે “પવિત્ર અઠવાડિયા” દરમિયાન “આત્મિક ચિંતન”ની સભાઓ માટે અમેરિકામાં એક ગુજરાતી ફાધરની જરુરીયાત હોવાની સંસ્થા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાએ “પાવન હૃદય દૂત”ની શતાબ્દિ ઉજવી હતી, તે બદલ “દૂત”ના ‘માનદ તંત્રી’ તરીકે ખાસ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મિલનના માહોલમાં સાંજના ૭:૩0 કલાકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
-માહિતી સૌજન્ય: જોસેફ પરમાર
/
ફાધર વિનાયકનો હ્રદયસ્પર્શી બોધ સાંભળવા ઉપરના વીડિયો પર ક્લિક કરો.