Tag Archives: ફાધર વિલિયમ
એક પ્રેરણાદાયક વિસ્મરણીય ઘટના!
તા ૨૮ ડિસે. શુક્રવારે, તા ૨૬-૭-૨૦૦૫ ના રોજ ( લગભગ આઠ વર્ષ પહેલાં) એક ગોઝારા અકસ્માતનો ભોગ બનેલી અને ત્યારથી જ કોમામાં સરી પડેલી એક આશાસ્પદ યુવતી સ્મિતાનું અવસાન થયું હતું. તા. ૩૦ મી રવિવારે તેની શોકસભા હતી. સ્મિતાના માબાપ જોસેફભાઈ અને પુષ્પાબેન શોકમય આગળ બેઠાં હતાં. આ માબાપે અને તેમાંય ખાસ કરીને તો મા પુષ્પાએ પોતાની પથારીવશ પુત્રીની લાંબાં આઠ વર્ષ સુધી અખૂટ ધીરજ ને અખૂટ પ્રેમથી સંભાળ લીધી, ચાકરી કરી. એ વરસો દરમ્યાન પુત્રીની માને ઘરે જ રહેવું પડ્યું. વાર તહેવારે કે સામાજિક પ્રસંગોએ બધાને બહાર જવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે પણ સ્મિતાની માને એ બધાનો ત્યાગ કરવો પડ્યો અને પોતાની બીમાર પુત્રીની ચાકરી કરવા ઘેર રહેવાની ફરજ પડી જે એમણે રાજ્ખુશીથી નિભાવી. હું આ શોકસભામાં હાજર હતો ને સ્મિતાના માબાપના ચહેરાને સતત નિહાળતો હતો. સ્મિતાની માના ચાહેરાએ મને મા એટલે કોણ એનું ત્યારે મને ભાન કરાવ્યું ને સાચી સમજ આપી. વિકટ સંજોગો અને દુસહ્ય પરિસ્થિતિમાં મા જ એને પહોચી વળે. મા ઈશ્વરનું કેવું સુંદર, અદભુત સર્જન છે એ આજે હું સમજ્યો.
દિલ્હીમાં તાજેતરમાં સામુહિક બળાત્કાર અને હિંસાના બનાવથી નાગરિકોમાં પ્રગટેલો આક્રોષ આપણે જોયો. મહિલા આદર અને મહિલા સન્માનની માંગણી કરતા અવાજો આપણા કાને પડ્યા છે. દોષિતો માટે કડકમાં કડક સજાની કાયદાકીય જોગવાઈની માંગણીના નારાઓ આપ્ણે ગાજતા સાંભળ્યા. મહિલાઓનું સમાજમાં ગૌરવ સચવાતું નથી એનાથી આપણે સભાન બન્યા છીએ. આવા માહોલમાં એક ખ્રિસ્તી મા પોતાની પુત્રી- કે જે લગભગ મૃ:તપાય હતી છતાં તેને મરી ગયેલી માનીને તેની અવગણના કર્યા વિના ભારે પરિશ્રમ ઊઠાવીને અખૂટ પ્રેમથી કાળજી લે અને મહિલા એટલે કોણ, મા તરીકેની સ્ત્રીની ભૂમિકા કેવી હોય તેનું એક પ્રેરણાત્મક અનુકરણીય ઉદાહરણ આપણ સહુને આપ્યું છે. આવાં માબાપો ને આવી માતાઓની આજે તાતી જરૂરિયાત છે. શબ્દો કે ઉપદેશ કરતાં જીવંત ઉદાહરણ અસરકારક બને છે. સ્મિતાને ઈશ્વર પિતા એમના સાન્નિધ્યમાં સદાય વસાવે એવી પ્રાર્થના કરીએ ત્યારે સ્મિતાના સેવાભાવી માતાપિતા પુષ્પાબેન તથા જોસેફભાઈ ને પણ આપણ સહુને સેવાનો અનુકરણીય નમુનો પૂરો પાડ્યો એ બદલ અભિનંદન પાઠવીએ.
Fr. william
સ્મિતાબેનના ફ્યુનરલના થોડા પિક્ચર કનુભાઈએ મોકલ્યા હતા જે નીચે જોઈ શકો છો.
સદભાવના ફોરમ : છ મુદ્દાનો કાર્યક્રમ
સદભાવના ફોરમ સાથે નજદીકથી સંકળાયેલ પચાસ યુવાનો તાજેતરમાં આસામમાં રાહતકામ કરવા ગયેલા તેઓ એક માસ બાદ પરત થયા છે. તેમની મુખ્ય કાર્યર્વાહી તો રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહેલા હજારો લોકોને રાહત આપવી એ હતી પરંતુ સાથે સાથે સતત ઝગડતાં બે જૂથો:મૂળ નિવાસી બોડો અને બહારથી આવીને વસેલા મુસ્લિમો વચ્ચે સુલેહ શાંતિ કરાવવી એ હતી. યુવા ગ્રુપે આ કાર્યવાહી નિષ્ઠા ને કુનેહપૂર્વક કરી બતાવી છે અને આશ્રિતો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. હવે તેમને છ મુદ્દાઓનો કાર્યક્રમ નક્કી કર્યો છે: ૧. બોડો બોલીમાં પુ. ગાંધીજીની આત્મકથા-સત્યના પ્રયોગો-નો અનુવાદ કરવો, ૫૦૦ નકલો છાપવી ને તેનો પ્રચાર કરી તેના વાચનને પ્રોત્સાહન આપવું. ૨. પ્રાથમિક શાળાઓ કે જે લગભગ પડી ભાગી છે તેને બેઠી કરાવી ને એ માટે કા.પા., વર્ગ ખંડોની મરામત, બંને જૂથોના વિદ્યાર્થીઓને શૈ.સાધનો વગેરે પ્રકારની મદદ આપવી.૩. બોડો તથા મુસ્લિમ શ્રમજીવી મહિલાઓને માટે રોજી રોટીના સાધનો માટે કેન્દ્રો શરુ કરવાં, ૪. જમાતે ઇસ્લામી હિન્દ સાથે સહયોગ કરીને બંને જૂથો માટે ૫૦ જેટલાં ઘર બાંધવાં ૫. બંને જૂથોનાં ૨૫ યુવક યુવતીઓનું જૂથ ગુજરાતમાં આવીને હિંદુ તથા મુસ્લિમ કુટુંબો સાથે રહે તથા બંને કોમોના યુવાવર્ગ સાથે સંવાદ કરે ને એમ સહજીવનનો અનુભવ કરી આસામ પાછા જાય એ હેતુથી ‘એક્ષ્ચેન્જ’ પ્રોગ્રામ બનાવવો અને ૬ બે ગુજરાતી યુવકોએ આસામના આ અસરગ્રસ્ત વિસ્તારમાં એક વર્ષ રહીને ઝગડતાં ને હેરાન થતાં ને પીડાતાં બોડો તથા મુસ્લિમ ગ્રુપો વચ્ચે સુલેહ થાય એ માટે ઉપાડેલું અભિયાન આગળ વધારવું.
સ્વાભાવિક છે કે આ સમગ્ર આયોજન પૂરું કરવાં તથા તેને અમલમાં મુકવા નાણાંની જરૂર પડશે જે માટે જે શુભ ભાવના વાળા જે કોઈ શાંતિ સુલેહ ને ભાઇચારાના વાહકો થવા ઈચ્છતા હોય તેમના ઔદાર્ય પર મદાર બાંધ્યો છે. ને ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી આ શુભ કાર્યને પુરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.
(ફાધર વિલિયમ)
સદભાવના ફોરમ -સદભાવના પર્વ – હાર્મની એવોર્ડ.
સદભાવના ફોરમ સમિતિના સભ્યોએ તા ૨૧ ડીસેમ્બરના રોજ મહુવા ખાતે શ્રી મોરારીબાપુની મુલાકાત લીધી અને આગામી વાર્ષિક ‘સદભાવના પર્વ’ની તારીખો નક્કી કરી. દેશમાં સામાજિક સંવાદિતા આજે તાકીદની બની છે અને તેની ઘણી જરૂર ઊભી થઇ છે. આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખી પ્રતિ વર્ષ બે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. એક રાજ્ય કક્ષાએ અને બીજો રાષ્ટ્રીય કક્ષાએ. એવોર્ડનું નામ હાર્મની એવોર્ડ હશે. ગુજરાત રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અને એજ રીતે દેશમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કોમી એકતા/સામાજિક સંવાદિતાનું કામ કરતી હોય તેને આ હાર્મની એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડની રકમ એક લાખ રૂપિયા હશે. સદભાવના પર્વ દરમ્યાન આ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ પસંદ કરેલને એનાયત કરવામાં આવશે.
તસવીરોમાં સદભાવના સમિતિના સભ્યો શ્રી મોરારીબાપુના પી.એ.સાથે મંત્રણાઓ કરતા દેખાય છે. ફાધર વિલિયમ પણ હાજર હતા.
OASIS VALLEYSની મુલાકાતે . . . જુઓ…. જાણો…. અને જોડાઓ
છેલ્લાં બે સપ્તાહથી આશાદીપ વિદ્યાનગરમાં હોલેન્ડની બે કોલેજિયન યુવતીઓ અહીનું લોકજીવન નિહાળવા અને તેનો અભ્યાસ કરવાના ધ્યેયથી આવી છે ને જુદી જુદી જગ્યાએ જઈને બધું જૂએ છે ને રહીને અનુભવ કરે છે. તા 17 મીના રોજ હું તેમને ચાણોદમાં નર્મદા નદીને કિનારે કોતરમાં ઉભું કરેલ એક જાણીતું કેન્દ્ર કે જે ઓએસીસ વેલીસ (OASIS VALLEYS) તરીકે ઓળખાય છે તે જોવા લઇ ગયો હતો.
આશરે વીશેક વરસો પહેલા વડોદરામાં કેટલાંક યુવક યુવતીઓએ ભેગાં મળીને સમાજ માટે કૈંક કરવાનો સંકલ્પ કર્યો અને ઓએસીસ નામે સંજીવ શાહની આગેવાની હેઠળ એક ગ્રુપ શરુ કર્યું. ગ્રુપના સભ્યો પાંચ વરસ સુધી સાથે રહ્યા અને શું કરવું તેની ચર્ચા વિચારણા તથા મનોમંથન કર્યું. આ ગ્રુપ સાથે હું તેની શરૂઆતથી મિત્ર રહ્યો છું અને તેમને સાથ સહકાર આપતો આવ્યો છું. આ બધાં યુવક–યુવતીઓ શિક્ષિત, સંસ્કારી અને સામાજિક નિસબત ધરાવતી આશાસ્પદ વ્યક્તિઓ છે. તેઓ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જવાબદાર નાગરીકો ઘડવા ને પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સામાન્ય પ્રકારનું અને ચીલા ચાલુ જીવન જીવવા કરતા કૈંક જુદા પ્રકારની જીવનશૈલી અપનાવવી એવો તેમને સંકલ્પ કર્યો છે. મનગમતી ને જીવનમાં આનંદ આપે તેવી પ્રવૃતિઓ કરાવી ને તેમાંથી જીવન નિર્વાહ માટે આવક પેદા કરાવી એવું તેઓ માને છે ને એમાં સફળ પણ થયા છે.
ચાણોદમાં નર્મદા નદીના કોતરોમાં જેમાં કશુજ ઊગી શકાતું નહોતું તેવી ખરાબાની જમીન કોઈએ તેમને વેચી. આ ગ્રુપે આજે એ જમીનની કાયા પલટી નાખી છે. આજે અહી વિવિધ પ્રકારના ૪૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં છે ને એકેય ઝાડ એવું નથી કે જે નકામું હોય ને કશા કામમાં ન આવતું હોય. તેઓ વિલાયતી ખાતરના વિરોધી છે અને માત્ર ને માત્ર દેશી (ઓર્ગનીક) ખાતર વાપરે છે ને બનાવે પણ છે. આ ફાર્મ અને આ ગ્રુપ વિષે મારે એટલું બધું કહેવાનું છે કે આજે તે માટે સમય અને અવકાશ નથી. છેલ્લા કેટલાંક વખતથી તેઓએ શાળાઓમાં ભણતાં કિશોર– કિશોરીઓના વ્યક્તિ ઘડતરની શિબિરોનું આયોજન કરવાનો આરંભ કર્યો છે ને તેમાં સફળ થયા છે. ખુદને મને તેમની આ સદ્પ્રવૃતિ ઘણી ગમે છે ને મારી રીતે ત્યાં કોઈને મોકલવાનો પ્રયાસ કરું છું.
ઓએસીસ વેલીસ નાં ઉદ્ઘાટન પ્રસંગે ગ્રુપના મિત્રોને તેમને આમંત્રણ આપ્યું હતું જેમાં મારો પણ સમાવેશ કર્યો હતો ને ત્યાં જઈને મેં ઘણો આનંદ માન્યો હતો.
ફાધર વિલિયમ