સમાચાર
વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા “રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન (RKGS) દ્વારા મનો-વિકલાંગ સમાજજનોને નિર્ભેળ મનોરંજન મળે તે હેતુસર તાજેતરમાં કારેલીબાગ,વડોદરા સ્થિત મનસિક આરોગ્યની હોસ્પિટલમાં “મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા” નું આયોજન કરવામાં આવેલ. “RKGS” દ્વારા વડોદરામાં બાળકો, યુવા વર્ગ, મહિલાઓ તેમજ વયસ્ક નાગરિકોના લાભાર્થે આરોગ્યલક્ષી,પર્યાવરણ સંરક્ષણ, સમાજિક મૂલ્યો, માનવ અધિકારો અંગે જાગૃતિ જેવી અનેકવિધ સમાજિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. માનસિક રોગીઓ પોતાના જ વિશ્વમાં મશગુલ હોય છે; જ્યાં સમજશક્તિ લક્ષ્મણરેખા વળોટી ચુકી હોય છે, એમની ના સમજાય તેવી હરકતો સ્વજનો અને સમાજને ક્યારેક અસામાન્ય અને હિંસક લાગે છે. માનસિક વિકલાંગોની ઘેલી મનોદશા અનુભવતાં ક્યાંક શૂન્યવકાશમાં તાકતી આંખો, ક્યાંક દિશાહીન થઈ ભટકતા મનોરોગીઓ, ક્યાંક ચૂનો ઉખડેલી ભીંતો પર ઈશ્કની શાયરીઓ કોતરતી રાધાઓ તો ક્યાંક ભયાનક હાવભાવ સહિત તાકતા ચહેરાઓ મનમાંવેદના જગવી ગયા. આ હોસ્પિટલમાં સ્ક્રીઝોફેનિયા, બાય પોલર, એપીલેપ્સી જેવી માનસિક બીમારીઓ ધરાવતા વિકલાંગ ભાઈઓ તથા બહેનોની મનોદશા જોઈ સંવેદના હલબલી ઉઠી. સંગીત એ સામાન્ય તેમ જ અસામાન્ય એમ દરેક જણને સ્પર્શતું માધ્યમ છે. કેમિકલ ઈમબેલેન્સ અને જીનેટીક ખામીઓના કારણે ઉદભવતી આ મનો-અવસ્થાના સીમાડાઓ સંગીત દ્વારા પાર કરીને મનોરોગીઓના હ્રદયના તાર ઝણઝણાવી ગયા. સૂર-તાલના સથવારે સહુ ભાઈઓ-બહેનોના પગ થીરકવા લાગ્યા.કાર્યક્રમ દરમિયાન ગરબાના તાલે બધા જ મસ્ત થઈ ઝૂમી ઉઠ્યા તો કેટલાક મનો-વિકલાંગ ભાઈઓએતો ફિલ્મી ગીતોની સુંદર અને લયબધ્ધ એવી રજૂઆત પણ કરી.
સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાન તથા શુભેચ્છકો બકુલ મેકવાન, વડોદરાના જાણીતા સ્ટેજ કાર્યક્રમના આયોજક તુષરભાઈ પરીખ તેમજ યાસીન વરિયા, મનિષભાઈ સોની જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો તેમજ તેઓની મ્યુઝીકલ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત કરવામાં આવી હતી.
સ્મિતા મેકવાન, વડોદરા દ્વારા
૨૭/0૯/૨૦૧૫
[wppa type=”slide” album=”39″ align=”center”]Any comment[/wppa]a