તા ૨૮ ડિસે. શુક્રવારે, તા ૨૬-૭-૨૦૦૫ ના રોજ ( લગભગ આઠ વર્ષ પહેલાં) એક ગોઝારા અકસ્માતનો ભોગ બનેલી અને ત્યારથી જ કોમામાં સરી પડેલી એક આશાસ્પદ યુવતી સ્મિતાનું અવસાન થયું હતું. તા. ૩૦ મી રવિવારે તેની શોકસભા હતી. સ્મિતાના માબાપ જોસેફભાઈ અને પુષ્પાબેન શોકમય આગળ બેઠાં હતાં. આ માબાપે અને તેમાંય ખાસ કરીને તો મા પુષ્પાએ પોતાની પથારીવશ પુત્રીની લાંબાં આઠ વર્ષ સુધી અખૂટ ધીરજ ને અખૂટ પ્રેમથી સંભાળ લીધી, ચાકરી કરી. એ વરસો દરમ્યાન પુત્રીની માને ઘરે જ રહેવું પડ્યું. વાર તહેવારે કે સામાજિક પ્રસંગોએ બધાને બહાર જવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે પણ સ્મિતાની માને એ બધાનો ત્યાગ કરવો પડ્યો અને પોતાની બીમાર પુત્રીની ચાકરી કરવા ઘેર રહેવાની ફરજ પડી જે એમણે રાજ્ખુશીથી નિભાવી. હું આ શોકસભામાં હાજર હતો ને સ્મિતાના માબાપના ચહેરાને સતત નિહાળતો હતો. સ્મિતાની માના ચાહેરાએ મને મા એટલે કોણ એનું ત્યારે મને ભાન કરાવ્યું ને સાચી સમજ આપી. વિકટ સંજોગો અને દુસહ્ય પરિસ્થિતિમાં મા જ એને પહોચી વળે. મા ઈશ્વરનું કેવું સુંદર, અદભુત સર્જન છે એ આજે હું સમજ્યો.
દિલ્હીમાં તાજેતરમાં સામુહિક બળાત્કાર અને હિંસાના બનાવથી નાગરિકોમાં પ્રગટેલો આક્રોષ આપણે જોયો. મહિલા આદર અને મહિલા સન્માનની માંગણી કરતા અવાજો આપણા કાને પડ્યા છે. દોષિતો માટે કડકમાં કડક સજાની કાયદાકીય જોગવાઈની માંગણીના નારાઓ આપ્ણે ગાજતા સાંભળ્યા. મહિલાઓનું સમાજમાં ગૌરવ સચવાતું નથી એનાથી આપણે સભાન બન્યા છીએ. આવા માહોલમાં એક ખ્રિસ્તી મા પોતાની પુત્રી- કે જે લગભગ મૃ:તપાય હતી છતાં તેને મરી ગયેલી માનીને તેની અવગણના કર્યા વિના ભારે પરિશ્રમ ઊઠાવીને અખૂટ પ્રેમથી કાળજી લે અને મહિલા એટલે કોણ, મા તરીકેની સ્ત્રીની ભૂમિકા કેવી હોય તેનું એક પ્રેરણાત્મક અનુકરણીય ઉદાહરણ આપણ સહુને આપ્યું છે. આવાં માબાપો ને આવી માતાઓની આજે તાતી જરૂરિયાત છે. શબ્દો કે ઉપદેશ કરતાં જીવંત ઉદાહરણ અસરકારક બને છે. સ્મિતાને ઈશ્વર પિતા એમના સાન્નિધ્યમાં સદાય વસાવે એવી પ્રાર્થના કરીએ ત્યારે સ્મિતાના સેવાભાવી માતાપિતા પુષ્પાબેન તથા જોસેફભાઈ ને પણ આપણ સહુને સેવાનો અનુકરણીય નમુનો પૂરો પાડ્યો એ બદલ અભિનંદન પાઠવીએ.
Fr. william
સ્મિતાબેનના ફ્યુનરલના થોડા પિક્ચર કનુભાઈએ મોકલ્યા હતા જે નીચે જોઈ શકો છો.
સદભાવના ફોરમ સાથે નજદીકથી સંકળાયેલ પચાસ યુવાનો તાજેતરમાં આસામમાં રાહતકામ કરવા ગયેલા તેઓ એક માસ બાદ પરત થયા છે. તેમની મુખ્ય કાર્યર્વાહી તો રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહેલા હજારો લોકોને રાહત આપવી એ હતી પરંતુ સાથે સાથે સતત ઝગડતાં બે જૂથો:મૂળ નિવાસી બોડો અને બહારથી આવીને વસેલા મુસ્લિમો વચ્ચે સુલેહ શાંતિ કરાવવી એ હતી. યુવા ગ્રુપે આ કાર્યવાહી નિષ્ઠા ને કુનેહપૂર્વક કરી બતાવી છે અને આશ્રિતો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. હવે તેમને છ મુદ્દાઓનો કાર્યક્રમ નક્કી કર્યો છે: ૧. બોડો બોલીમાં પુ. ગાંધીજીની આત્મકથા-સત્યના પ્રયોગો-નો અનુવાદ કરવો, ૫૦૦ નકલો છાપવી ને તેનો પ્રચાર કરી તેના વાચનને પ્રોત્સાહન આપવું. ૨. પ્રાથમિક શાળાઓ કે જે લગભગ પડી ભાગી છે તેને બેઠી કરાવી ને એ માટે કા.પા., વર્ગ ખંડોની મરામત, બંને જૂથોના વિદ્યાર્થીઓને શૈ.સાધનો વગેરે પ્રકારની મદદ આપવી.૩. બોડો તથા મુસ્લિમ શ્રમજીવી મહિલાઓને માટે રોજી રોટીના સાધનો માટે કેન્દ્રો શરુ કરવાં, ૪. જમાતે ઇસ્લામી હિન્દ સાથે સહયોગ કરીને બંને જૂથો માટે ૫૦ જેટલાં ઘર બાંધવાં ૫. બંને જૂથોનાં ૨૫ યુવક યુવતીઓનું જૂથ ગુજરાતમાં આવીને હિંદુ તથા મુસ્લિમ કુટુંબો સાથે રહે તથા બંને કોમોના યુવાવર્ગ સાથે સંવાદ કરે ને એમ સહજીવનનો અનુભવ કરી આસામ પાછા જાય એ હેતુથી ‘એક્ષ્ચેન્જ’ પ્રોગ્રામ બનાવવો અને ૬ બે ગુજરાતી યુવકોએ આસામના આ અસરગ્રસ્ત વિસ્તારમાં એક વર્ષ રહીને ઝગડતાં ને હેરાન થતાં ને પીડાતાં બોડો તથા મુસ્લિમ ગ્રુપો વચ્ચે સુલેહ થાય એ માટે ઉપાડેલું અભિયાન આગળ વધારવું.
સ્વાભાવિક છે કે આ સમગ્ર આયોજન પૂરું કરવાં તથા તેને અમલમાં મુકવા નાણાંની જરૂર પડશે જે માટે જે શુભ ભાવના વાળા જે કોઈ શાંતિ સુલેહ ને ભાઇચારાના વાહકો થવા ઈચ્છતા હોય તેમના ઔદાર્ય પર મદાર બાંધ્યો છે. ને ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી આ શુભ કાર્યને પુરૂ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. (ફાધર વિલિયમ)
સદભાવના ફોરમ સમિતિના સભ્યોએ તા ૨૧ ડીસેમ્બરના રોજ મહુવા ખાતે શ્રી મોરારીબાપુની મુલાકાત લીધી અને આગામી વાર્ષિક ‘સદભાવના પર્વ’ની તારીખો નક્કી કરી. દેશમાં સામાજિક સંવાદિતા આજે તાકીદની બની છે અને તેની ઘણી જરૂર ઊભી થઇ છે. આ બાબતને ખાસ લક્ષ્યમાં રાખી પ્રતિ વર્ષ બે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. એક રાજ્ય કક્ષાએ અને બીજો રાષ્ટ્રીય કક્ષાએ. એવોર્ડનું નામ હાર્મની એવોર્ડ હશે. ગુજરાત રાજ્યમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અને એજ રીતે દેશમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા કોમી એકતા/સામાજિક સંવાદિતાનું કામ કરતી હોય તેને આ હાર્મની એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડની રકમ એક લાખ રૂપિયા હશે. સદભાવના પર્વ દરમ્યાન આ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ પસંદ કરેલને એનાયત કરવામાં આવશે.
તસવીરોમાં સદભાવના સમિતિના સભ્યો શ્રી મોરારીબાપુના પી.એ.સાથે મંત્રણાઓ કરતા દેખાય છે. ફાધર વિલિયમ પણ હાજર હતા.
ગઈ કાલે મેં મારા ભાઈઓ તથા બેનોના પરિવારો સાથે મારા ગામમાં મારા ઘરમાં બધા સાથે બેસીને મારાં ૭૫ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી કરી. મારો એક ભત્રીજો સુનીલ પણ પુરોહિત છે ને તેને ગઈ સાલ દીક્ષા મળેલી તેની સાથે ઘરમાં પરિવારજનોના મોટા સમૂહ સાથે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો ને ભૂતકાળનાં ઘણાં સુખદ સંસ્મરણો વાગોળ્યાં જે બધાને બહુ ગમ્યું ને બહુ આનંદ માન્યો. ઠીક, આ બધું તો બરાબર છે પણ મારે જે કહેવું છે તે કૈંક જુદું છે ને મારે માટે પણ એ નવો અનુભવ છે. તો સાંભળો:
મારી સાથે મારા બીજા ભાઈઓ ને બહેનો પણ હતાં ને અમે સૌ અમારા પરિવારજનોના કાકા, મામા, દાદા-દાદીઓ હતાં. પણ હું જુદા પ્રકારનો કાકા, મામા . . .હતો. મારા ભાઈઓ મારી જેમજ કાકા ને મામા હતા પણ સાથે સાથે તે કોઈના પપ્પા . . .પણ હતા અને એ રીતે વહેચાયેલા હતા ! માત્ર હું એકલો જ એવો હતો કે જે વહેચાયેલો ન હતો ને એમ મારા ભત્રીજાઓ, ભત્રીજીઓ, ભાણીઓ ને ભણાઓ માટે પૂરેપૂરો-અવિભાજ્ય- કાકો ને મામો હતો! કારણ હું ફાધર તરીકે અપરણિત હોવાને કારણે વહેચાયેલો નથી. આનંદની વાત તો એ છે કે જ્યારે તેઓ મને મળતાં, બોલાવતાં, ભેટતાં ને શુભેચ્છાઓ પાઠવતાં ત્યારે આ હકીકત બહુ જ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેઓને માટે બીજા કાકા ને મામા પણ ત્યાં હતા પણ તે બધા જાણે કે વહેચાયેલા હતા જ્યારે હું એકલો જ પૂરેપૂરો તેમને માટે કાકા કે મામા હતો. આવી ક્ષણોએ મને મારા બ્રહ્મચર્યના વ્રતનું મહત્વ સમજાયું ને અનહદ આનંદ થયો. આ વ્રતને કારણે હું પૂરેપૂરો, બધો જ બીજાને માટે છું, અમૂક લોકો કે અમૂક સમાજ કે જ્ઞાતિ પૂરતો સીમિત નથી. આમાં જ મારા બ્રહ્મચર્યનો સાચો અર્થ છે. જે ક્ષણે હું ‘સીમિત’ બની જાઉં તે જ ક્ષણે મારું આ વ્રત મિથ્યા અને અર્થહીન બની જશે. બધાને માટે હોવું ને સૌની સેવા માટે અવેઈલેબલ બની રહેવું એ ભગવાને બક્ષેલ પરમ વરદાન છે ને એવું વરદાન ભગવાને મારી અપાત્રતા છતાં મારા પર વરસાવ્યું છે તે માટે હું એનો ઉપકાર માનું તેટલો ઓછો. એ પુણ્ય મારાં ક્યાંથી!
યુવકો ને યુવતીઓ જેઓ સન્યાસી જીવનપંથ પસંદ કરે છે, ફાધર કે સિસ્ટર્સ બને છે યા બનવા ઈચ્છે છે તેમને આમાંથી પ્રેરણા મળે એવી મારી પ્રાર્થના છે. આવજો…