આલ્બર્ટ આમોદરાનું કુટુંબ જાણે સ્વર્ગના આગોતરા પ્રવેશપત્ર મેળવીને આવ્યા હોય એમ ૨૦ મહિનામાં એક પછી એક ચાર સભ્યો સ્વર્ગે સિધાયા.
જન્મ લેતી દરેક વ્યક્તિનું મરણ તો નિશ્ચિત જ હોય છે. કોણ, ક્યારે, કેવી રીતે, ક્યા કારણે કે ક્યા સંજોગોમાં મરણ પામશે એ આપણે આગોતરા જાણી શકતા નથી. મરણ નિશ્ચિત હોવા છતાં આપણે બધા જ એનાથી ડરીએ છીએ. કોઈ આપણું પોતાનું મરણ પામે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. ભલેને તે વ્યક્તિ સામાન્ય જીવન મર્યાદા ભોગવીને મરણ પામે. પણ મરણ જ્યારે અચાનક, અકારણ, અકાળે, કે આકસ્મિત આવે ત્યારે સામાન્ય કરતાં વધારે દુ:ખ થાય એ સ્વાભાવિક છે. આપણે જે ખ્રિસ્તમાં માનીએ છીએ, એ જાણીએ છીએ કે પુનરૂત્થાનની પ્રભાતે આપણે બધા ભેગા મળવાના છીએ. છતાં આવા પ્રસંગો દરમ્યાન આપણી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા કંઈક અંશે ડગમગી જાય છે. હાલમાં આવી જ એક ઘટના ઘટી છે.
ભરૂચમાં રહેતા શ્રી. અલ્બર્ટ અને સ્મિતા અમોદરાનો એક નો એક દિકરો જે લંડન ખાતે અભ્યાસ કરી રહ્યો હતો એ ઑક્ટોબર ૨૦૧૨ માં પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેના મા-બાપ અને નાની બહેન તેના મૃત્યુના આઘાતમાંથી હજુ બહાર પણ નીકળ્યા પણ ન હતા ત્યાં તેમના જીવનમાં એક અજીબ ઘટના ઘટી.
જુલાઈની ૨૭ તારીખે રવિવારે સાંજે શ્રી. આલ્બર્ટ આમોદરા તેમની પત્નિ સ્મિતા અને દીકરી એલિના ભરૂચ તરફથી વડોદરા તરફ પોતાના વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ પોતાની લાઈનમાં પોતાનું વાહન ચલાવી રહ્યા હતા પણ સામેની દિશામાંથી આવતું એક વાહન ડિવાડર તોડી તેમના વાહનને સામે મોંએ બરાબર જોરમાં ભટકાયું. શ્રી. આલ્બર્ટ અને તેમના પત્નીએ ઘટના સ્થળ પર જ પોતનો દમ તોડી દીધો. તેમની દીકરીને ગંભિર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવ્યા. જ્યાં ઓગસ્ટની ૪થી તારીખે મોત સાથેની લડાઈ હારીને પોતાના મા-બાપ પાસે પહોંચી ગઈ.
આમ બે વર્ષના ગાળામાં જ ચાર જણનું હસતું-ખેલતું કુટુંબ આ દુનિયા છોડી પરમેશ્વર પાસે પહોંચી ગયા. તો પ્રશ્ન થાય કે આ લોકોનું જીવન કોના પાપે, કોના દોષે આમ ટુંકાઈ ગયું? ફરી એકવાર પ્રભુ પરમેશ્વર પરની શ્રધ્ધા મજબૂત બનાવી મૃત આત્માઓને પરમ શાંતી મળે એવી પ્રાર્થના સિવાય આપણે બીજું શું કરી શકીએ. પરમપિતા તેઓના સગાં-સંબંધી અને મિત્રોને આ કારમો ઘા સહન કરવાની શક્તિ આપે.