Skip to content

Mr. Narayan Desai, the great Gandhian who died on March 15, 2015, inaugurated “GANDHI VICHARMANCH”, which was started by Fr. William in Vidyanagar with other Professors.

મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઈના પુત્ર અને ગાંધી કથાના પ્રણેતા નારાયણભાઈ દેસાઇનું રવિવાર, માર્ચની ૧૫, ૨૦૧૫ ના રોજ વહેલી સવારે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે મળસ્કે 4.30 કલાકે અવસાન થયું હતું. અવસાનની જાણ થતાં ગાંધી વિચારકો અને સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ વેડછી ખાતે આવી પહોંચ્યા હતા. અને નારાયણ દેસાઇને શ્રદ્ધાંજલી અર્પી હતી. વેડછી ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને વાલ્મીકિ નદીના તટ પર ગાંધી ઓવરા ખાતે નારાયણ દેસાઈના બે પુત્રો અને એક પુત્રી દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં વેડછી ખાતે આવેલ ગાંધી વિદ્યાપીઠ ખાતે રહી ગાંધી વિચારધારાને આગળ વધારતા અને આદિવાસીવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવનાર ગાંધીવાદી નારાયણ દેસાઇનું ૯૦ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. નારાયણ દેસાઇ ગત ૯મી ડિસેમ્બરે અચાનક તેમની તબિયત બગાડતાં કોમામાં સરી ગયા હતા, પ્રાથમિક સારવાર બારડોલી આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દોઢ મહિનાની સારવાર બાદ ગત વીસ દિવસ પહેલા તેમની તબિયતમાં સુધારો થતાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય વેડછી ખાતે તેમને પરત લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની મોટી પુત્રી ડૉ. સંઘમિત્રા દેસાઇ દ્વારા તેમની દેખરેખ રાખવામા આવતી હતી. અને ગત ૧૫મી માર્ચના મળસ્કે ૧:૩૦ વાગ્યાના સમયે તેમને ઑક્સીજન આપવામાં આવ્યો હતો. તેમની પુત્રીએ સવારે તપાસ કરતાં નારાયણ દેસાઈના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા. અને તેમનું નિધન થયાની જાણ સમગ્ર પરિવારને કરવામાં આવી હતી.
નારાયણ દેસાઇએ 75થી વર્ષથી વધુ સમયના સામાજિક જીવન દરમ્યાન મહાત્મા ગાંધી, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને વિનોબા ભાવે સાથે કાર્ય કર્યું હતું, તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભૂદાન આંદોલન, સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બિહાર આંદોલનમાં તેમની સક્રિયતાના કારણે તે સમયની રાજ્ય સરકારે તેમને બિહાર રાજ્યમાંથી બહાર મોકલી દીધા હતા. વર્ષ ૨૦૦૨માં ગાંધીના વિચારો માટે ગાંધી કથા શરૂ કરી દીધી હતી. એમને કેન્દ્રિય સાહિત્ય એકાદમી પુરસ્કાર, મૂર્તિદેવી પુરસ્કાર ઉપરાંત બાંગ્લાદેશ સરકારે સર્વોચ્ચ નાગરિક સન્માનનો એવોર્ડ પણ એનાયત કર્યો હતો.
મહાત્મા ગાંધીના પર્સનલ સેક્રેટરી મહાદેવ હરિભાઇ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈના પરિવારમાં તેમની પત્ની સ્વ. ઉત્તરાબેન દેસાઇ તથા તેમની મોટી પુત્રી ડૉ. સંઘમિત્રા દેસાઇ, પુત્ર નચિકેતા દેસાઇ અને નાના અફલાતૂન દેસાઇ છે. નારાયણભાઈ દેસાઈનો જન્મ ડિસેમ્બર ૨૪, ૧૯૨૪ ના રોજ વલસાડ ખાતે થયો હતો. તેઓ જાણીતા સર્વોદયકાર અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય વેડછીના સંચાલક તરીકે સેવા કરતાં હતા. અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં કુલપતિ તરીકે પણ સેવા આપી હતી.
નારાયણ દેસાઈની અંતિમ યાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા, ઉપાધ્યક્ષ આત્મરામ પરમાર, માજી કેન્દ્રિય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાતવિદ્યાપીઠ ના કુલપતિ ઇલાબેન ભટ્ટ, હળપતિ સેવા સંઘના પ્રમુખ અરવિંદભાઇ દેસાઇ વગેરેએ હાજરી આપી હતી. પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઇને રાજકીય સન્માન સાથે સરકાર દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી માન ભેર અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રસંગે તાપી જિલ્લા પોલીસ વડા ડૉ. મહેશ નાયક, જિલ્લા કલેક્ટર બી.સી પટણી સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી “દિવ્ય ભાસ્કર”
ગાંધી વિચારમંચ – વિદ્યાનગર

�
વિદ્યાનગર તો એક બીજું ઓક્ષફર્ડ છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહિ સારા ભારતમાંથી અને વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એમાંના મોટા ભાગના ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો અહીં રહેતા ને ભણતા હોય છે. એ વરસો દરમ્યાન તેમને ગાંધીજી વિષે કંઈક જાણવાનું મળે અને તેમના જીવનમાં ગાંધી વિચારસરણી અને ગાંધી મૂલ્યોનો સંચાર થાય એ શુભ ધ્યેયને વરીને અમે કેટલાક મિત્રોએ વિદ્યાનાગરમાં ગાંધી વિચારમંચ સ્થાપવાનો વિચાર કર્યો. અમારા વિચાર અંને નિર્ણયને બધેથી ઘણો આવકાર મળ્યો. એના ઉદઘાટન માટે ગાંધીજીના ખોળામાં રમેલા એવા પીઢ ગાંધીવાદી શ્રી નારાયણ દેસાઈને વિનંતી કરી કે તેઓ આવે ને મંચનું ઉદઘાટન કરી ઉપસ્થિત યુવાનો અને યુવતીઓને પ્રેરણાત્મક ઉધ્બોધન કરે. તેઓને અમારો વિચાર બહુ જ ગમ્યો અને અમારું આમંત્રણ સ્વીકારી વિદ્યાનગર પધારી યુવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે અને ગાંધીજી વિષે તેમના અભ્યાસકાળ દરમ્યાન વધુ જાણે અને તેમની વિચારસરણી જીવનમાં અપનાવે એવું બહુ જ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. ગાંધી વિચારમંચ સાથે જોડાયેલા મિત્રો આ મંચ દ્વારા યુવાવર્ગને વિદ્યાનગર છોડે તે પહેલા ગાંધી મૂલ્યોનું ભાથું બાંધી આપવા ઈચ્છે છે.