સદભાવના ફોરમ સાથે નજદીકથી સંકળાયેલ પચાસ યુવાનો તાજેતરમાં આસામમાં રાહતકામ કરવા ગયેલા તેઓ એક માસ બાદ પરત થયા છે. તેમની મુખ્ય કાર્યર્વાહી તો રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહેલા હજારો લોકોને રાહત આપવી એ હતી પરંતુ સાથે સાથે સતત ઝગડતાં બે જૂથો:મૂળ નિવાસી બોડો અને બહારથી આવીને વસેલા મુસ્લિમો વચ્ચે સુલેહ શાંતિ કરાવવી એ હતી. યુવા ગ્રુપે આ કાર્યવાહી નિષ્ઠા ને કુનેહપૂર્વક કરી બતાવી છે અને આશ્રિતો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. હવે તેમને છ મુદ્દાઓનો કાર્યક્રમ નક્કી કર્યો છે: ૧. બોડો બોલીમાં પુ. ગાંધીજીની આત્મકથા-સત્યના પ્રયોગો-નો અનુવાદ કરવો, ૫૦૦ નકલો છાપવી ને તેનો પ્રચાર કરી તેના વાચનને પ્રોત્સાહન આપવું. ૨. પ્રાથમિક શાળાઓ કે જે લગભગ પડી ભાગી છે તેને બેઠી કરાવી ને એ માટે કા.પા., વર્ગ ખંડોની મરામત, બંને જૂથોના વિદ્યાર્થીઓને શૈ.સાધનો વગેરે પ્રકારની મદદ આપવી.૩. બોડો તથા મુસ્લિમ શ્રમજીવી મહિલાઓને માટે રોજી રોટીના સાધનો માટે કેન્દ્રો શરુ કરવાં, ૪. જમાતે ઇસ્લામી હિન્દ સાથે સહયોગ કરીને બંને જૂથો માટે ૫૦ જેટલાં ઘર બાંધવાં ૫. બંને જૂથોનાં ૨૫ યુવક યુવતીઓનું જૂથ ગુજરાતમાં આવીને હિંદુ તથા મુસ્લિમ કુટુંબો સાથે રહે તથા બંને કોમોના યુવાવર્ગ સાથે સંવાદ કરે ને એમ સહજીવનનો અનુભવ કરી આસામ પાછા જાય એ હેતુથી ‘એક્ષ્ચેન્જ’ પ્રોગ્રામ બનાવવો અને ૬ બે ગુજરાતી યુવકોએ આસામના આ અસરગ્રસ્ત વિસ્તારમાં એક વર્ષ રહીને ઝગડતાં ને હેરાન થતાં ને પીડાતાં બોડો તથા મુસ્લિમ ગ્રુપો વચ્ચે સુલેહ થાય એ માટે ઉપાડેલું અભિયાન આગળ વધારવું.