ગુજરાતમાં કર્મશીલ જેસુઈટ ફાધરોએ ગરીબો ને વંચિતોને પૂરતું રોજ રોજ ખાવાનું મળે એ માટે “અન્ન સુરક્ષા ધારો ” નો અમલ કરાવવા ઝુંબેશ ઉપાડી છે અને વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વર્કરો રોકીને રેશન કાર્ડ, સસ્તા અનાજની દુકાન, કાર્ડ દીઠ કેટલો ક્વોટા મળવો જોઈએ વગેરે બાબતે લાભાર્થીઓને માહિતી આપે છે. અને તેમને નડતી મુશ્કેલીઓ દૂર કરવા સહાયરૂપ થાય છે. સરકારી અન્ય યોજનાઓની જેમ અહી પણ વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને ગરીબોને માટે આવેલું અનાજ દુકાનદારો વગે કરી જતા હોય છે. ફિલ્ડ વર્કરોને ઘણી વાર આવા ભ્રષ્ટાચારી દુકાનદારો તથા સરકારી કર્મચારીઓનો સામનો યા વિરોધ કરવો પડે છે. આ બાબતે મનોમંથન કરીને કર્મશીલ જેસુઈટ ફાધરોના સંગઠ (જેસા) એ ફિલ્ડ વર્કરોને પત્રકારત્વની તાલીમ આપવાનું નક્કી કર્યું ને ‘રિશ્તા’ની મદદ માગી ને એમ ત્રણ દિવસીય પત્રકારત્વ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.
દ.ગુજરાતના સોનગઢથી માંડીને સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લામાંથી ૨૨ ફિલ્ડ વર્કરોએ કાર્યશાળામાં ભાગ લીધો અને પોતાના કામમાં પ્રિન્ટ મીડીઆનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને એમ ગરીબ લાભાર્થીઓને મદદરૂપ બની શકાય તે શીખી લીધું હતું. આ કાર્યશાળાનું સંચાલન raabetaa મુજબ ફાધર વિલિયમ તથા હસમુખ ક્રિશ્ચિયને કર્યું અને શીબીરર્થીઓના હાથમાં પ્રિન્ટ મીડીઆનું એક સબળ હથિયાર મૂકી તેનો અસરકારક ઉપયોગ કરતા શીખવ્યું.
કાર્યશાળાના બીજે દિવસે અમદાવાદ મિરર અખબારમાં સેવા બજાવતા અને ગરીબો-વંચિતો પ્રતિ ખાસ સહાનુભૂતિ ધરાવતાધ્વનીબેને ખાસ રસ લઈને આવીને શિબિરાર્થીઓને ઘણું જરૂરી માર્ગદર્શન આપ્યું અને મિડીઆનો સમાજ હિતાર્થે અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય ને એ લક્ષ્યને સિદ્ધ કરી શકાય તેના જાત અનુભવના કેટલાક પ્રેરણા દાયક ઉદાહરણો આપી શિબીરાર્થી ફિલ્ડ વર્કરોમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું. ત્રણ દિવસીય આ કાર્યશાળા ખરેખર બહુ જ ફળદાયી નીવડી ને ફિલ્ડ વર્કરો ઘણા જ્ઞાની બનીને બમણા ઉત્સાહથી કામ કરવાનો સંકલ્પ કરીને પરત થયા.