Category Archives: News & Events

જેસુઈટ સંઘના આદર્શો ને સિદ્ધાંતો વિષયે કાર્યશાળા – સેન્ટ વિન્સેન્ટ કોલેજ, પૂને

        

 

 

જેસુઈટ શૈક્ષણિક તેમજ  અન્ય સંસ્થાઓમાં સેવા બજાવતા કર્મચારીઓ જેસુઈટ આદર્શો અને જેસુઈટ સંઘના ઉદ્દેશથી પરિચિત થાય અને તેમના દ્વારા એ આદર્શો અને ઉદ્દેશો વિદ્યાર્થીઓ તથા લાભાર્થીઓમાં સિંચન થાય એવા શુભાશયે તાજેતરમાં પુને ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી જેસુઈટ ફાધરો અને કર્મચારીઓ મળીને લગભગ વીસેક જણે તેમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં  જેસુઈટ ફાધરો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

 

 

 

વર્કશોપનું સંચાલન અમેરીકન  મેનેજમેન્ટ  નિષ્ણાત  ક્રીસ લોઉંન્યે કર્યું હતું. તેઓ જેસુઈટ સંઘમાં જોડાયા હતા અને થોડા સમય બાદ સંઘને છોડી દઈ સંઘના સ્થાપક સંત ઇગ્નાસના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાની તેઓએ ઝુંબેશ ઉપાડી છે. તેઓ માને છે કે પ્રસ્તુત ઉદ્દેશો એટલા ઉમદા ને અસરકારક છે કે તે દ્વારા મહાન લીડરો અને સામાજિક પરિવર્તનના ઘટકો પેદા કરી શકાય છે.

 

વડોદરા સ્થિત ‘રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદન” ના ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન.

 

વડોદરા સ્થિત “રચના ખાદી ગ્રામોદ્યોગ સેવાસદને” ઓક્ટોબર ૨૮, ૨૦૧૨ રવિવારના રોજ અત્રેની પ્રાથમિક શાળામાં એક નિઃશુલ્ક જનરલ મેડીકલ તપાસ તથા ડાયાબીટીસ કેમ્પનું આયોજન કરેલ. આરંભમાં, અત્રેના સંત જોસેફ દેવાલયના ધર્મગુરૂ ફા. લુકાસ એસ. જે. એ પ્રાર્થના સાથે આશીર્વચન પાઠવ્યાં હતાં. પ્રાર્થના બાદ, એક નાના સમારંભમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્મિતા મેકવાને પોતાના વકતવ્યમાં સંસ્થાની સ્થાપના, ધ્યેય અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે વાતચીત કરી હતી. આર્થિક રીતે પછાત એવા વિસ્તારો આવરી લેતા આ કેમ્પમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. લાભાર્થીઓને મફત તબીબી નિદાન ઉપરાંત ડાયાબીટીસની મફત તપાસ અને દવાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત આણંદના શ્રી. કનુભાઈ પરમારે, સંસ્થા આગામી વર્ષોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. પુર્ણાહુતિ સમયે, સભાપુરોહિત ફા. જયંત રાઠોડે તબીબો તથા સ્વયંસેવકોને સેવાની કદરરૂપે પ્રમાણપત્ર એનાયત કર્યાં હતાં.
સમાચાર: શ્રી. બકુલ મેકવાન, વડોદરા.

 

 

ચક્રવાત સેન્ડિ ત્રાટક્યું, તબાહી ફેલાવી ગયું. જાનહાની અને અબજોની ખુવારી. ઓક્ટોબર ૨૯-૩૦, ૨૦૧૨

ન્યુ જર્સીમાં ૨૭ વરસના વસવાટ દરમ્યાન ધણી દુર્ઘટનાઓ ઘટી છે. મારા હિસાબે આ યાદીમાં નીચેની બે દુર્ઘટના ઉપરના ક્રમે આવે છે.

 

૯૧૧ અને ચક્રવાત સેન્ડિ.

 

 

ચક્રવાત સેન્ડિ જેવું ભયાનક વાવાઝોડું ન્યુ જર્સી-ન્યુ યોર્ક વિસ્તારમાં છેલ્લા ૫૦ વરસમાં કોઈએ જોયું નથી. સૂચના અને પ્રસારણ માધ્યમ દ્વારા લગભગ અઠવાડિયા પહેલાંથી સત્તાવાર પૂર્વસૂચના અને ચેતવણી રજૂ કરતા હતા. લોકોને બે-ચાર દિવસ ચાલે એટલી જીવન જરૂરી વસ્તુઓ જેમકે પાણી, ખાદ્યસામગ્રી, ફ્લેશ-લાઈટ વગેરે મેળવી લેવા તકેદારી કરી હતી. દરિયાકિનારાના વિસ્તાર અને નિચાણવાળા વિસ્તારના નિવાસીઓને જરૂરી સામગ્રી સાથે પોતાના નિવાસસ્થાનને બરાબર બંધ કરીને પોતાના સંબંધીને ત્યાં આશ્રય લે અથવા સરકારી આશ્રયસ્થાન પર આશ્રય મેળવી લે એવી આજીજી કરવામાં આવતી હતી. અને પૂરતો સમય આપ્યા પછી રવિવાર, ઓકટોબર ૨૮, ૨૦૧૨ રાતના બાર વાગ્યા સુધીમાં જાહેર વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો. અને સોમવારે બપોરથી સેન્ડિનું તાંડવ-નૃત્ય શરૂ થયું તો મંગળવાર વહેલી સવારના ચાર વગ્યા સુધી ચાલ્યું. પવન અને પાણીના પ્રવાહમાં મોટાં વહાણો, આખાને આખા રસ્તા, મકાનોને એના પાયામાંથી ઊખાડી ખસેડી દીધા તો ઘણાં ઘરો હોવાનો કોઈ પૂરાવો પણ ના રહ્યો. પાંચથી દસ ફૂટ પાણી ભરાઈ ગયાં. ૬ ફૂટ પાણી ભારાએલ એક વિસ્તારમાં ૧૧૧ ઘર આગમાં ભસ્મીભૂત થઈ ગયાં. ઘણી જગ્યાએ નેચરલ ગેસના વિસ્ફોટના કારણે આગ લાગી અને ઘણાં ઘર એમાં નાશ પામ્યા. અત્યાર સુધીના અહેવાલ મુજબ ૯૦ વ્યક્તિઓના જીવન સંકેલાઈ ગયા છે. લાખો લોકો વિજળી વગર છે. જાહેર વાહનવ્યવહાર ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે. પણ આ ઘાવ ભરાતાં વરસો લાગશે અને નિશાન ભૂસાતાં ખબર નહીં કેટલાં! આશા રાખીએ કે આ હોનારતથી અસરગ્રસ્ત સૌની જરૂરિયાત જલ્દીથી પૂરી થાય. સામાન્ય જીવન જલ્દીથી સામાન્ય બને. આ હોનારત દરમ્યાન પોતાની કે પાતાના કુટુંબની ચિંતા કર્યા વગર કામ કરતા સર્વ કાર્યકરોનો આભાર.

 

પરમેશ્વરની પરમ કૃપાથી હું અને મારું સઘળું કુટુંબ મારાં ભાઈ-બહેન અને એમના કુટુંબ સહીત બધાં સહીસલામત છીએ. ન્યુ યોર્ક/ન્યુ જર્સી માં રહેતાં મોટાં ભાગના બધાં ગુજરાતી ક્રિશ્ચિયન કુટુંબો પણ સહીસલામત છે. મિત્રો અને સગાંઓની પાર્થના માટે અમે બધાં આપના આભારી છીએ. ઘણા બધા મિત્રોએ ફોન દ્વારા ટેક્ષ દ્વારા ઈમેલ દ્વારા ફેસબુક દ્વારા અમારી કુશળતા માટે ચિંતા વ્યક્ત કરી છે અમારી કુશળતા માટે પ્રાર્થના કરી છે એ સર્વના અમે આભારી છીએ.

 

બધાંના નામ ના લેતા બે મહાનુભાવોના નામ જણાવવા આવશ્યક સમજું છું. અમદાવાદ ધર્માપ્રાંતના ધર્માધ્યક્ષ માનનીય થોમાસ મેકવાન જેમણે ઈમેલથી સંપર્ક કરી ગુજરાતના ખ્રિસ્તી લોકોની ચિંતા વ્યક્ત કરી અને પોતાની પ્રાર્થનાની ખાત્રી આપી અને બીજા દિવસે ફોન કરી અમારા બધાના સલામતીની પૂછપરછ કરી. આપનો ખૂબ ખૂબ આભાર બિશપ સાહેબ આપના પ્રેમ લાગણી ચિંતા અને પ્રાર્થના માટે.   

 

 

 

ગાંધીનગર ધર્મપાંતના મહા ધર્માધ્યક્ષ માનનીય સ્તાનિસલાઉસ ફર્નાન્ડિઝ ની પણ ઈમેલ આવી અને ગુજરાતના ખ્રિસ્તી કુટુંબોની ચિંતા વ્યક્ત કરી પ્રાર્થાના અને આશિર્વાદથી અભિભૂત કર્યા એના માટે ખૂબ ખૂબ આભારી છીએ.

 

 

 

મારા ઘરને થોડું નુકશાન થયું છે જેના પિક્ચર નીચે જોઈ શકો છો. સોમવાર રાત્રે ૭-૪૨ અમારા વિસ્તારમાં વિજળી પ્રવાહ અટકી ગયો હતો જે મંગળવારે સવારે ૬ વાગે પાછો આવી ગયો હતો. પણ મારા શહેરના ઘણા વિસ્તારમાં વિજળી પાછી ફરતાં બે દિવસ નીકળી ગયા.

 

 

 

મારા ભાઈ કેતનના ઘરે પણ નજીવું  નુકશાન થયું હતું જેના પિક્ચર નીચે જોઈ શકો છો. કેતના વિસ્તારમાં પણ વિજળી પ્રવાહ મંગળવારે રાત્રે પાછો આવ્યો પણ એનાજ ટાઉનમાં બીજા વિસ્તારોમાં હજુ પણ વિજળી પ્રવાહ નથી.

 

 

 

 

મારી ગલીમાં અને આજુબાજુ થયેલ નુકશાનના થોડા પિક્ચર નીચે આપ્યા છે.

 

ઉપરના પિક્ચર તો કશું નથી સેન્ડિની ભયાનકતા જોવા માટે અહીં ક્લિક કરો.

 

 

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) નો સેમિનાર યોજાયો.

 

પીટીઆરસી (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર) વડોદરા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફેકટરીઓ તથા ઉદ્યોગોમાં કામ કરતા કામદારો ને મજૂરોનાં સ્વાસ્થ્યના હક્કો તથા સલામતી માટે કામ કરે છે. તેના પ્રણેતા શ્રી જગદીશ પટેલ છે. ખંભાત શહેરમાં અકીકના ઉદ્યોગમાં કામ કરતા ગરીબ મજૂરોને સીલીકોસ નામનો મટી શકે તેવો રોગ થાય છે ને ઘણાખરા મજૂરો માત્ર ૪૦ વર્ષની વયે મૃત્યુને ભેટતા હોય છે. આવા ગરીબ કામદારોના પરિવારોને માલિકો તરફથી પૂરતું રક્ષણ મળે ને તેમને વિમાનો લાભ મળે માટે જગદીશભાઈ ઘણી મહેનત કરે છે. આવી ગરીબો ને શ્રમજીવીઓની સેવામાં ખંભાતમાં રહેતા શૈલેશ અભીધેય કે જે પત્રકાર છે તે જગદીશભાઈને ઘણા મદદરૂપ બને છે. તા ૨૦ ઓક્ટોબરના રોજ ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં એક સેમિનારનું આયોજન કરીને ઉપરોક્ત બંને ભાઈઓએ અક્કિક ઉદ્યોગમાં રોકાયેલ કામદારોની દયાજનક પરિસ્થિતિ વિષે વિગતે સહુને માહિતી આપી હતી અને તેમના હક્કોના અને સ્વાસ્થ્યના રક્ષણ માટે કેવા કાયમી ઉકેલ લઇ શકાય એના સૂચનો માગ્યા હતાં.ફાધર વિલિયમ જગદીશભાઈના સેવાની ઘણી કદર કરીને તેમને વરસોથી સાથ સહકાર આપે છે ને સેમિનારમાં તેમને આમંત્રણ હોઈ ઉપસ્થિત રહ્યા હતા અને જારૂરી સૂચનો પણ આપ્યાં હતાં.

 

ફાધર વિલિયમ

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) ના વાર્ષિક દિનની ઊજવણી – ઓક્ટોબર ૨૧, ૨૦૧૨

 

કમ્યુનીટી ડેવેલોપમેન્ટ સોસાયટી (સીડીએસ) આણંદ પાધરીયામાં આવેલી એક જાણીતી અને આગવા પ્રકારની એન જી ઓ છે. શ્રી મનોજ મેકવાન એના પ્રણેતા છે. આ સંસ્થા નાત-જાત-ધર્મ કે સંપ્રદાયનો ભેદ રાખ્યા વિના જરૂરિયાતમંદો વંચિતોની સેવા કરે છે. હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓ કે જેમને વધુ અભ્યાસની તકો મળી નથી તેમને માટે આ સંસ્થા ટૂકાગળાના તાલીમ કાર્યક્રમો-કોર્સનું આયોજન કરે છે ને એ રીતે આવી યુવતીઓને કમાણીનું સાધન આપે છે. આજે પ્રસ્તુત કમ્યુનીટીમાની કેટલીયે યુવતીઓ તાલીમ લઈને કમાતી થઇ છે અને સ્વમાનભેર જીવે છે. આ સંસ્થા દ્વારા ગરીબ વિસ્તારો-ઝૂપડ પટ્ટીઓમાં બાલવાડીઓ ચલાવે છે જેમાં આ સંસ્થામાં તાલીમ લીધેલી યુવતીઓ સેવા આપે છે.

 

સંસ્થા પ્રતિ વર્ષ જર્મની દેશ સાથેની યુવતીઓ સાથે મળીને એક્ષ્ચેન્જ કાર્યક્રમો ગોઠવે છે ને અહીંથી આ ગરીબ યુવતીઓને એક કે બે માસ માટે જર્મની મોકલે છે આજ સુધીમાં કેટલીયે હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી યુવતીઓને આનો લાભ મળ્યો છે. સીડીએસ સંસ્થાની આ એક મોટી ઉપલબ્ધિ છે.

 

 
પ્રતિ વર્ષ સંસ્થા તેનો વાર્ષિક દિન ઉજવે છે જેમાં યુવતીઓના વાલીઓ ને માબાપો હોંશભેર ભાગ લે છે. ચાલુ સાલે આણંદ ટાઉન હોલમાં આ દિનની ઉજવણી થઇ હતી. સ્ટેજ પર આવીને પોતાની વિવિધ આવડતો પ્રેક્ષકોને બતાવી આપવાની તેમને માટે આ એક સોનેરી તક છે જે સંસ્થા તેમને પૂરી પાડીને તેમનામાં સ્વમાન જગવે છે. મુસ્લિમ યુવતીઓને તો આનાથી ઘણું સ્વમાન જાગે છે. વાર્ષિક દિનની આગવી વિશિષ્ટતતા તો એ છે કે વિવિધ કોમ ને ધર્મની યુવતીઓ સાથે મળીને આ કાર્યક્રમ કરે છે ને પ્રેક્ષકોમાં આ બધી ક્મ્યુનીટીના લોકો હાજર હોય છે.

 

 
કોમી સંવાદિતાનું આનાથી બીજું ઉમદા ઉદાહરણ કયું હોઈ શકે? મનોજભાઈ પોતે ખ્રિસ્તી છે ને તેમના દ્વારા આ પ્રકારની ઉમદા પ્રવૃત્તિ થાય છે એ ગૌરવની વાત છે. સાચેજ મનોજ એક અનુકરણીય ઉદાહરણ સહુને આપી રહ્યા છે. શ્રી મનોજભાઈ તથા તેમના સહુ કાર્યકરોને આપણાં હાર્દિક અભિનંદન ! અને આણંદ તથા અન્ય સ્થળોએ વસતા બીજા ખ્રિસ્તીઓ પણ આવી હિતકારક પ્રવૃતિઓ શરૂ કરીને ભગવાન ઇસુનો પ્રેમ તથા ભાઈચારાનો સંદેશ બધે ફેલાવે એવી અપેક્ષા રાખીએ!
-ફાધર વિલિયમ (રિશ્તા)