ગાંધી વિચારમંચ, વિદ્યાનગર ખાતે પીઢ ગાંધીવાદી શ્રી. નારાયણ દેસાઈનું પ્રવચન.

ગાંધી વિચારમંચ – વિદ્યાનગર


વિદ્યાનગર તો એક બીજું ઓક્ષફર્ડ છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહિ સારા ભારતમાંથી અને વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એમાંના મોટા ભાગના ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો અહીં રહેતા ને ભણતા હોય છે. એ વરસો દરમ્યાન તેમને ગાંધીજી વિષે કંઈક જાણવાનું મળે અને તેમના જીવનમાં ગાંધી વિચારસરણી અને ગાંધી મૂલ્યોનો સંચાર થાય એ શુભ ધ્યેયને વરીને અમે કેટલાક મિત્રોએ વિદ્યાનાગરમાં ગાંધી વિચારમંચ સ્થાપવાનો વિચાર કર્યો. અમારા વિચાર અંને નિર્ણયને બધેથી ઘણો આવકાર મળ્યો. એના ઉદઘાટન માટે ગાંધીજીના ખોળામાં રમેલા એવા પીઢ ગાંધીવાદી શ્રી નારાયણ દેસાઈને વિનંતી કરી કે તેઓ આવે ને મંચનું ઉદઘાટન કરી ઉપસ્થિત યુવાનો અને યુવતીઓને પ્રેરણાત્મક ઉધ્બોધન કરે. તેઓને અમારો વિચાર બહુ જ ગમ્યો અને અમારું આમંત્રણ સ્વીકારી વિદ્યાનગર પધારી યુવા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે અને ગાંધીજી વિષે તેમના અભ્યાસકાળ દરમ્યાન વધુ જાણે અને તેમની વિચારસરણી જીવનમાં અપનાવે એવું બહુ જ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. ગાંધી વિચારમંચ સાથે જોડાયેલા મિત્રો આ મંચ દ્વારા યુવાવર્ગને વિદ્યાનગર છોડે તે પહેલા ગાંધી મૂલ્યોનું ભાથું બાંધી આપવા ઈચ્છે છે.