Category Archives: મારું સર્જન

મારો જન્મ દિવસ – મા, મારી!

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

Filed under: કવિતા, મારી કવિતા, વિચાર-મંથન